સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 58,077 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 657 લોકોના મોત થયા હતા. જ્યારે પોઝિટીવીટીનો દર ઘટીને 4 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. દેશભરમાં આ કોરોના કારણે અત્યાર સુધીમાં 5,07,177 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં સંક્રમણ ઘટતાં આ શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ હટ્યો
બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર હળવો થતાં ગુજરાત સરકારે ગુરુવારે 19 શહેરોમાં નાઇટ કર્ફ્યુ હટાવ્યો છે, જ્યારે આઠ મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુની અવધિમાં ઘટાડો કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ગાંધીનગરમાં રાજ્યની કોર કમિટીની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. જેમાં નાઇટ કર્ફ્યુ રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે, જેમાં માત્ર આઠ મોટા શહેરોમાં ત્રણ કલાકની છૂટછાટ છે. આ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર છે.
દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળમાં છે
હાલમાં દેશમાં સક્રિય કેસ 6.88 લાખ છે. આમાંથી 71% કેસ માત્ર 5 રાજ્યોમાં છે. આ રાજ્યો છે- કેરળ (2.32 લાખ), મહારાષ્ટ્ર (70.1 હજાર), તમિલનાડુ (66.9 હજાર), કર્ણાટક (52 હજાર), આંધ્રપ્રદેશ (40.8 હજાર) અને મધ્યપ્રદેશ (29.5 હજાર).