જો તમે રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરતાં હોવ અને મોડા મોડા ઊંઘવા જતાં હોવ તો આટલું વાંચી લેજો. ઓછી ઊંઘ લેવાના કારણે જિંદગી દોઝખ જેવી બની જશે તેનો તમને અંદાજ પણ નહીં હોય.
ઓછી ઊંઘના કારણે જીવન બરબાદ થઈ શકે છે
7.5 કલાકની ઊંઘ મિનિમમ જોઈએ જ
આત્મહત્યાના વિચારો ઓછી ઊંઘથી વધે છે
બદલાતી જિંદગીમાં આપણે ઊંઘને ઓછું મહત્વ આપતા થઈ ગયા છીએ. ઊંઘવાને આપણે સમયનો બગાડ સમજતા હોઈએ છીએ. પણ એ સાચું નથી. ઊંઘ પૂરી ન થવાના કારણે ઘણા રોગો થઈ શકે છે.
7.5 કલાક ની ઊંઘ જરૂરી
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર આજની તારીખે 7.5 કલાકની ઊંઘ જરૂરી છે. જો એ ન લેવામાં ન આવે તો હાર્ટ અટેકથી લઈ અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેની આપણને જાણ સુદ્ધાં નથી હોતી. ભારતમાં લોકો એવરેજ 6.5 કલાકની ઊંઘ લે છે એવું રિસર્ચમાં બહાર આવ્યું છે.
કઈ કઈ ગંભીર સમસ્યાઓ?
ઓછી ઊંઘ લેવાના કારણે કાર્ડિયો વાસ્ક્યુલર ડીસીઝ એટલે કે હ્રદય રોગ થઈ શકે છે. ઉપરાંત મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર, પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર પણ થઈ શકે છે. એટલું જ નહીં DNA ડેમેજ સુધીની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આત્મહત્યાના વિચારો આવે
જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા એવા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. એનું દેખીતું ઉદાહરણ છે કે સાઉથ કોરિયા અને જાપાનમાં સરેરાશ ઊંઘના કલાકો ખૂબ ઓછા છે તો સામે આત્મહત્યાના સૌથી વધારે બનાવો આ જ દેશોમાં જોવા મળે છે. જાપાનમાં તો 'કારોષી' નામની અલગથી સ્થિતિ ગણાવવામાં આવે છે કે જેમાં ઓછી ઊંઘને મૃત્યુનું કારણ માનવામાં આવે છે.
વજન વધે!
ઓછી ઊંઘ લેવાના કારણે ઓબેસિટી એટલે મેદસ્વિતા પણ વધે છે એ સાબિત થઈ ચૂક્યું છે. ઓછી ઊંઘ લેનાર લોકો ઓછા પ્રોડક્ટિવ હોય છે ઉપરાંત તેઓ કામમાં ધ્યાન આપી નથી શકતા જેના કારણે નોકરી ધંધાના સ્થળે પણ તેઓ ખાસ સારું પ્રદર્શન કરી નથી શકતા.
ટૂંકમાં સો વાતની એક વાત કે ઓછી ઊંઘ લેવાના કારણે તમે તમારા જ શરીરને ખતમ કરી રહ્યા છો. માટે જો એવું હોય તો આજથી જ પૂરતી ઊંઘ લેવાનું શરૂ કરી દો.