અમરેલીના બગસરામાં દીપડાએ અત્યાર સુધી 6 લોકોના જીવ લીધા છે. ત્યારે હવે જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા તાલુકામાં 144ની કલમ જાહેર કરવામાં આવી છે. સૂર્યાસ્તના 3 કલાક પહેલા પાંચથી વધુ લોકોને ભેગા ન થવાનો આદેશ કરાયો છે. આજથી 15 ડિસેમ્બર સુધી 144નો હુકમ કરાયો છે. જો કોઈ શખ્સ જિલ્લા મજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે.
બગસરામાં 12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 144 લાગુ
વનવિભાગ દ્વારા મેગા એક્શન પ્લાન તૈયાર
બગસરામાં જે ઘટના બની તે દુઃખદાયીઃ વિજય રૂપાણી
રાજ્યમાં માનવભક્ષી દીપડાનો આતંક વધ્યો છે. આથી દીપડાને ઝડપી પાડવા વનવિભાગે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે CCF સહિતના અધિકારીઓ અમરેલી પહોંચ્યા છે. અમરેલી, ગાંધીનગર અને જૂનાગઢના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન કરશે. માનવભક્ષી દીપડાને ઠાર મારવા માટે વનવિભાગના સ્પે. શુટરોને કામે લગાવાયા છે. તેમજ માવનભક્ષી દીપડાને પકડવા માટે બગસરામાં પાંજરા અને CCTVની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. આ સમગ્ર મામલે અમરેલી કલેક્ટર અને CCFની સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. તો લોકોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરમાં ન જવા સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે બગસરામાં 12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 144 લાગુ કરી દેવામાં આવી છે.
દીપડાના આંતક લઈને મંત્રી ગણપત વસાવાની પત્રકાર પરિષદ યોજાવવામાં આવી છે. જેમાં વસાવાએ જણાવ્યુ હતું કે 200 લોકોની ટીમ દીપડાને પકડવા સક્રિય છે. ડ્રોન કેમેરાની મદદથી દીપડાની શોધખોળ શરૂ કરી છે. ગ્રામ વિસ્તારોમાં જનજાગૃતી માટે અભિયાન ચાલે છે. 8થી વધારે શાર્પશૂટરો કામે લાગ્યા છે. દીપડાને ઠાર કરવાની સુચના આપવામાં આવી છે. 30 પાંજરા અને 6 ડોક્ટરની ટીમ બનાવી છે. નાઇટ વિઝન કેમેરાથી સતત નજર રાખવામાં આવે. હર્ષદ રિબડીયાએ મને રજૂઆત કરી હતી. અત્યાર સુધી 40 જેટલા દીપડા પકડવામાં આવ્યાં છે.
બગસરામાં જે ઘટના બની તે દુઃખદાયીઃ CM વિજય રૂપાણી
અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે કે, બગસરામાં જે ઘટના બની તે દુઃખદાયી છે. મનવભક્ષી દીપડાને પકડવા માટે 50 જેટલા લોકોની ટીમ કામે લાગી છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલીના બગસરામાં 6 વ્યક્તિઓના દીપડાના હુમલાના કારણે મોત થયા છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.