ગીર જંગલ નજીક વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓ વધી રહ્યા છે. જેને પગલે જંગલ નજીક આવતા વિસ્તારોમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. જંગલની નજીકના ગામડાઓમાં દીપડાને કારણે ખેડૂતો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે
ગીર પંથકના ગામોમાં દીપડાઓનો આતંક
દર વર્ષે દર 60 જેટલા વ્યક્તિઓ પર દીપડાના હુમલા
દીપડાઓ પશુઓનો શિકાર કરતા હોવાથી સ્થાનિકોમા ભયનું લખલખું
ગીર જંગલ નજીકના ગ્રામ્ય પંથકમાં ઘણા સમયથી દિપડાઓનો આતંક આસમાને જોવા મળી રહ્યો છે. દીપડાઓ ગીર છોડી ગ્રામીણ પંથકમાં વસવાટ કરી રહ્યા હોવાથી હુમલાના બનાવ પણ વધી રહ્યા છે. ગીરની બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં દિપડાઓ રાત્રીના સમયે પાલતુ પશુઓનો શિકાર કરતા હોવાથી સ્થાનિકોમા ભયનું લખલખું જોવા મળી રહ્યું છે.
ગીરમાં અસંખ્ય દીપડાઓનો કાયમી વસવાટ
ગુજરાત વન વિભાગ કુલ 4 રેન્જમાં સમાયેલું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 રેન્જ પૈકીની 2 રેન્જ પૂર્વ અને પશ્ચિમમાં બૃહદ ગીરનું જંગલ આવેલું છે.જે 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.આ ગીરનાં જંગલમાં જ ગીર નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એરિયા આવેલો છે. ગીરનું આ જંગલ કુલ 3 જિલ્લાને સ્પર્શે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. આ ત્રણ જિલ્લા નજીક આવેલા બૃહદ ગીરમાં અસંખ્ય દીપડાઓનો કાયમી વસવાટ કરે છે.
દર વર્ષે દીપડાઓના હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ગીરને અડીને આવેલો છે. જેમાં કુલ 6 તાલુકો આવેલા છે. જેમાં વેરાવળ, તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા અને ઉના તાલુકો આવેલો છે.આ તમામ તાલુકોઓમાં દર વર્ષે દીપડાઓના હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય અને અનેકના મોત થાય છે. પરંતુ સૌથી વધુ હુમલાઓ સુત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડામાં થાય છે.
ગીર જંગલમાં અંદાજિત 1300 જેટલા દીપડાઓનો વસવાટ
ગીરનુ જંગલ વન્ય પ્રાણીઓ માટે નાનું થતું હોય તેવું લાગી રહ્યું છે. દીપડાઓ જંગલ મૂકીને દરિયા કિનારા સુધી પહોંચી રહ્યા છે. જેનું કારણ નાનું થતું ગીરનું જંગલ અને ઝડપથી વધી રહેલી દીપડાઓની સંખ્યા છે. આમ તો આખા ભારતમાં દીપડાઓનો વસવાટ છે. પણ ગુજરાતમાં માત્ર ગીર જંગલમાં અંદાજિત 1300 જેટલા દીપડાઓનો વસવાટ છે. જ્યારે દર વર્ષે દર 60 જેટલા વ્યક્તિઓ પર દીપડાઓ હુમલા કરે છે. અને જેમાંથી 10 ટકા લોકો જીવ ગુમાવે છે જ્યારે 90 ટકાથી વધુ લોકો ઈજાગ્રસ્ત થાય છે. જોકે છેલ્લા એકાદ મહિનાથી માનવભક્ષી દીપડાએ એવી તો દહેશત ઉભી કરી છે કે જૂનાગઢના વિસાવદર, માળીયા હાટીના, ગીર સોમનાથના ગીર ગઢડા, કોડીનાર અને અમરેલીના બગસરામાં દીપડાએ લોકો પર હુમલા કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષ માં 29 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.