દુનિયાની ટોચની ફૂટબોલ ક્લબમાંની એક બાર્સિલોના અને લિયોનેલ મેસીના ચાહકો માટે એક સારા સમાચાર છે.
આ સ્ટાર ફૂટબોલર બાર્સિલોના ક્લબ નહીં છોડે. આ અંગેની જાહેરાત ખુદ મેસીએ કરી છે, જોકે તેણે આ નિર્ણય 'મજબૂરી'ના કારણે કર્યો છે. અસલમાં મેસી બાર્સિલોના છોડવા ઇચ્છતો હતો, પરંતુ મેનેજમેન્ટ-ખાસ કરીને ક્લબના અધ્યક્ષનું કહેવું હતું કે મેસીએ જવું હોય તો ૭૦૦ મિલિયન યૂરો ચૂકવવા પડશે.
સ્ટાર ફૂટબોલર મેસીએ તમામ અટકળ પર પૂર્ણવિરામ લગાવતા ગઈ કાલે જાહેરાત કરી, ''આગામી સિઝનમાં તે બાર્સિલોના સાથે જ રહેશે. આ ક્લબ સાથે કોઈ હું કોઈ કાયદાકીય લડતમાં ઊતરવા માગતો નથી. આ ક્લબે મને જિંદગી આપી છે. હું આ ક્લબ સામે કોઈ કોર્ટ ફાઇટ કરવા ઇચ્છતો નથી. અહીં જ મારી કરિયરની શરૂઆત થઈ અને હું હીરો બની ગયો.''
મેસીએ વધુમાં જણાવ્યું, ''હું અહીંથી જવા ઇચ્છતો હતો, કારણે હું ખુશ નહોતો. આથી મેં ક્લબને જાણ પણ કરી, પરંતુ આવા વાતાવરણમાં હું ક્યારેય જવા ઇચ્છતો નથી. હું અહીંથી જવા માટે સ્વતંત્ર છું, પરંતુ સિઝન ખતમ થયા બાદ મેનેજમેન્ટે આ બાબતને અલગ રીતે હેન્ડલ કરી. મેં જ્યારે પરિવારને ક્લબ છોડવાનો નિર્ણય જણાવ્યો તો મારી પત્ની અને બાળકો રડવા માંડ્યાં હતાં. વાઇફ બાર્સિલોનામાં જ રહેવા ઇચ્છે છે અને બાળકો પણ ત્યાંની સ્કૂલમાં જ ભણવા ઇચ્છે છે. આ સમગ્ર ડ્રામાએ મને પરેશાન કર્યો છે.''
મેસીની આ જાહેરાત સાથે જ તેના ભવિષ્યને લઈ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અગાઉ મેસીએ કહ્યું હતું કે તે આ સિઝનના અંતમાં ક્લબ છોડવા ઇચ્છે છે. બાર્સિલોના ક્લબ ઇચ્છતી હતી કે મેસી જૂન-૨૦૨૧ સુધી કરાર ખતમ થાય ત્યાં સુધી ક્લબ સાથે જ રહે. મેસીએ ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં બાયર્ન મ્યુનિચ સામે ૮-૨થી શરમજનક પરાજય બાદ બાર્સિલોના ક્લબ છોડવાની વાત કહી હતી.