મેદસ્વિતા કે વધુ પડતા વજનથી પીડાતા હોય તેવા લોકો માટે અનેક વાર પાણી રામબાણ ઇલાજ બની શકે છે. રોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. આ સાથે-સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે.
હવે વજન ઘટાડો જીરા એન્ડ લેમન ડ્રિંકથી
વજન ઘટાડવા માટે લીંબુ પાણી આશીર્વાદ સમાન
દરરોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવુ જોઈએ
આરોગ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ દરરોજ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પી રહ્યા છો તેની ખાતરી કરવા માટે તમે દિવસ દરમિયાન પાણી પીવાનો સમય સેટ કરી શકો છો. તમે આ માટે રિમાઇન્ડર્સ સેટ કરી શકો છો.
વજન ઘટાડવા માટે પાણી
જ્યારે દેશી મસાલા અને દવાઓ પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે તે પોષણથી ભરપૂર બને છે. જોકે મોટા ભાગના લોકો સામાન્ય રીતે ડીટોક્સ માટે ફળ અને શાકભાજીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું પસંદ કરે છે, પરંતુ દરેક વખતે તેને બનાવવું સરળ નથી હોતું. ખાસ કરીને દરેક ઋતુમાં દરેક ફળ અને શાકભાજી ઉપલબ્ધ નથી હોતાં, તેવામાં તમે કેટલીક અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
લીંબુ પાણી
જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે લીંબુ પાણી આશીર્વાદ સમાન છે. લીંબુ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. નિષ્ણાતો લીંબુ સાથે નવશેકું પાણી પીવાની ભલામણ કરે છે, તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. જો તમને એસિડિટી રહેતી હોય તો તે દરરોજ ન પીઓ.
જીરાનું પાણી
જીરું એક એવો મસાલો છે, જેનો ઉપયોગ તેના ઔષધીય ગુણોના કારણે દરેક ભારતીય વાનગીમાં થાય છે. જીરું કેલરીમાં ખૂબ જ ઓછું છે, પાચન સુધારે છે, ચયાપચયને વેગ આપે છે, શરીરને ડિટોક્સિફાય કરે છે, બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે અને રોગ પ્રતિકારકશક્તિ વધારે છે. આ માટે રાતભર પાણીમાં એક ચમચી જીરું રાખો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળી પી લો. તેનો સ્વાદ વધારવા માટે તમે લીંબુ, આદું અને મધ ઉમેરી શકો છો.
વરિયાળીનું પાણી
વરિયાળીનું સેવન જમ્યા પછી માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમારે રાતે એક ચમચી વરિયાળીને પાણીમાં પલાળી રાખવી અને સવારે ઊઠ્યા પછી તેને પીવું. તમે દિવસમાં બે વાર ચાના બદલે આ પાણી પી શકો છો.
આદુંનું પાણી
આદું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. સવારે ખાલી પેટ આદુંનું પાણી પીવાથી તમારું વજન ઓછું થઈ શકે છે. સ્થૂળતા શરીરમાં ઓક્સિડેટિવ તણાવ અને બળતરાનું કારણ બને છે. ઓક્સિડેટિવ તણાવ શરીરમાં મુક્ત રેડિકલના કારણે થતા નુકસાનના કારણે થાય છે. આદુંના એેન્ટીઓકિસડન્ટ ગુણધર્મો આ મુક્ત રેડિકલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેના બળતરા વિરોધી ગુણધર્મો બળતરા સામે લડી શકે છે.