સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી પરનો પ્રતિબંધ હટાવી દઇને આ વર્ચ્યુઅલ કરન્સીના સોદા કરનારાઓને મોકળું મેદાન પૂરું પાડયું છે. થોડા વરસ પહેલાં બિટ કોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીના ઉપરાછાપરી કૌભાંડો બહાર આવતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6 એપ્રિલ 2018ના રોજ એક નોટિફિકેશન જારી કરીને તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ એક પિટિશન દાખલ કરી હતી અને તેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.
બિટકોઇનનું ચલણ રાષ્ટ્રની ભૂમિકા અને તેના રાષ્ટ્રવાદને ખતમ કરી શકે છે
આગળ જઇને બિટકોઇન બ્લેક મનીનું એક મોટું હથિયાર બની શકે છે
શું છે ક્રીપ્ટોકરન્સી?
વાસ્તવમાં ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની ડિજિટલ કરન્સી છે જે ભૌતિક રૂપે ઉપલબ્ધ નથી, પરંતુ માત્ર આભાસી કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) છે. તેનો ઉપયોગ લેવડદેવડ માટે કરવામાં આવે છે. આ માટે બ્લોક ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કરન્સીમાં કોડનો ઉપયોગ કરાય છે અને તેના ઉપયોગથી છેતરપિંડી અને ફ્રોડ થવાની આશંકા ઓછી હોય છે. આજે જ્યારે ઘણા લોકો પાસે બેન્કિંગ સુવિધા નથી, પરંતુ એવા લોકોની સંખ્યા વધારે છે જેમની પાસે ઇન્ટરનેટની સાથે સેલફોન છે. મોબાઇલ ઇન્ટરનેટ, લોયલ્ટી પોઇન્ટ, રિવોર્ડ પોઇન્ટ અને વેલેટની વિચારધારાને બિટકોઇનની વિચારધારાને ઇન્ફ્રા સપોર્ટ કર્યો છે, પરંતુ બિટકોઇન કરન્સીનું નિયમન કરવા માટે કોઇ પણ સેન્ટ્રલાઇઝ કંટ્રોલિંગ ઓથોરિટી નથી.
આથી સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીનાં ચલણ પર મંજૂરીની મહોર મારતાં હવે શું ક્રિપ્ટો કરન્સીથી દેશ અને દુનિયાની સુરક્ષા સાથે ખતરો ઊભો થશે? એવા સવાલ ઊભા થવા લાગ્યા છે. શું ક્રિપ્ટો કરન્સી રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ માટે પણ ખતરનાક છે? આજે દુનિયામાં એવી સેંકડો-હજારો વેબસાઇટ અને કંપનીઓ છે જે બિટકોઇનને કરન્સીના સ્વરૂપમાં સ્વીકાર કરી રહી છે. બિટકોઇનનું ચલણ માત્ર રાષ્ટ્રની ભૂમિકા અને તેના રાષ્ટ્રવાદને ખતમ નહીં કરે, પરંતુ આગળ જઇને બિટકોઇન બ્લેક મનીનું એક મોટું હથિયાર બની શકે છે. માનવીય સંસ્કૃતિ અને સભ્યતાના મોટા દુશ્મનો, આતંકવાદી, ડ્રગ માફિયાઓ અને તસ્કરો તેનો રાષ્ટ્રના વિરુદ્ધમાં મોટા પાયે ઉપયોગ કરી શકે છે.
ભારતમાં પાંચેક વર્ષ પહેલાં બિટકોઈન્સ સહિતની ક્રિપ્ટો કરન્સીનાં ઉપરાછાપરી કૌભાંડો બહાર આવેલાં. વર્ચ્યુઅલ કરન્સીના નામે લોકોને બાટલામાં ઉતારીને ખંખેરી લેવાના ઉપરાછાપરી કિસ્સા બહાર આવ્યા તેના કારણે વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડનો પર્યાય બની ગઈ હતી. ગુજરાતમાં તો બિટકોઈન્સનાં કૌભાંડ એટલાં ગાજેલાં કે રોજ સવાર પડે ને એક નવું કૌભાંડ બહાર આવતું હતું. ને વાત પાછી લાખોમાં નહીં પણ કરોડોમાં જ હોય.
કેન્દ્ર સરકારે વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ માટે બાનિંગ ઓફ ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2019 તૈયાર કરાયેલું. આ વિધેયકમાં વર્ચ્યુઅલ કરન્સીના સીધા કે આડકતરા કોઈ પણ વ્યવહારમાં સંકળાયેલી વ્યક્તિને દસ વરસની કેદની સજાની જોગવાઈ હતી. બૅંક સહિતની કોઈ નાણાકીય સંસ્થા વર્ચ્યુઅલ કરન્સીના સોદામાં સામેલ હોય તો તેના પર પ્રતિબંધની પણ જોગવાઈ તેમાં હતી. મોદી સરકારે લીધેલા વલણને અનુરૂપ આ કાયદો બનવાનો હતો પણ કમનસીબે વાત આગળ વધી નહીં. લોકસભાની ચૂંટણી આવી તેમાં આ બિલ લટકી ગયું. આ કાયદો બની ગયો હોત તો સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કે મૂકેલા વર્ચ્યુઅલ કરન્સી પરના પ્રતિબંધને માન્ય રાખ્યા વિના છૂટકો નહોતો. જો વિધેયક પાસ થયું હોત તો સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન જ દાખલ થઇ ન હોત. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં સરકારે હવે સતર્ક બનીને જાગી જવાની જરૂર છે અને તાત્કાલિક આ અંગે કાયદો ઘડવાની જરૂર છે.