ગયા અઠવાડિયે બેરુત પોર્ટ પર વિસ્ફોટને લઈને ભ્રષ્ટાચાર અને અયોગ્યતાના આક્ષેપો વચ્ચે લેબનની સરકારે રાજીનામું આપ્યું છે. દેશના પ્રધાનમંત્રી હસન દિઆબ ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
લેબનનની રાજધાની બેરૂતમાં થયો હતો ભયંકર વિસ્ફોટ
આ ઘટનાના કારણે સમગ્ર દેશમાં ગુસ્સો
આખી સરકારે આપવું પડ્યું રાજીનામું
લેબનનની રાજધાની બેરૂતમાં થયેલા વિસ્ફોટોએ લગભગ એક અઠવાડિયા પહેલા આખી દુનિયાને હચમચાવી નાંખી હતી. આ ઘટના અંગે દેશમાં આટલો ગુસ્સો છે કે આખી સરકારે રાજીનામું આપી દેવું પડ્યું છે. દેશના પ્રધાનમંત્રી હસન દિઆબ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવાના છે. 150 થી વધુ લોકોની હત્યાના મામલાની તપાસમાં સરકારી વિભાગની બેદરકારી અને સરકારની અણઆવડત અંગે સવાલો ઊભાં થવા લાગ્યાં તો મંત્રીઓએ એક પછી એક રાજીનામું આપવાનું શરૂ કર્યું હતું.
PM કરશે જાહેરાત
દેશમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યાં છે જેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. CNNના અહેવાલ મુજબ, એક સરકારી સૂત્રએ માહિતી આપી છે કે સોમવારની રાત સુધીમાં સરકાર 'ફક્ત કેરટેકર'ની ભૂમિકામાં રહેશે. કેબિનેટના 3 પ્રધાનો પહેલેથી જ રાજીનામું આપી ચૂક્યા છે અને સંસદનાં 7 સભ્યો પણ રાજીનામું આપી ચૂક્યાં છે. દેશના આરોગ્યમંત્રીએ માહિતી આપી છે કે તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, પ્રધાનમંત્રી સોમવારે આ પગલાંની જાહેરાત કરવાના છે. તેઓ રાષ્ટ્રપતિને રાજીનામું સુપરત કરવાના છે.
આર્થિક સંકટ, કોરોના પછી વિસ્ફોટ
લેબનનમાં પહેલેથી જ આર્થિક સંકટ હતું, તેમાં વચ્ચે કોરોના વાયરસ પણ તબાહી મચાવી રહ્યો હતો. તે જ સમયે, સરકાર સામે બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યાં હતાં. રાજધાની બેરૂતમાં ધડાકા પછી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટક રાસાયણિક, એમોનિયમ નાઇટ્રેટ, ઘણાં વર્ષોથી બંદર પર પડેલો હતો અને અનેક ચેતવણીઓ જારી કરવા છતાં અવગણવામાં આવી હતી.
ગયા વર્ષે આવી હતી સરકાર
ગયા વર્ષે સરકાર પાડવાના ભારે જન આંદોલન બાદ હસનની સરકાર આવી હતી. આ સરકારમાં ઘણા ટેક્નોક્રેટ્સ છે અને ઇરાનનું પણ સમર્થન છે પરંતુ એક વર્ષમાં આ સરકાર પણ પડી ગઈ. કેટલાંય મુદ્દાઓને લઈને નારાજ રહેલા લોકોએ બેરુત પોર્ટ પર ધમાકાઓથી નારાજ થઈને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકારી મંત્રાલયો પર પથ્થરબાજી કરાઈ અને કેટલીક જગ્યાઓ પર પોલીસ સાથે ઘર્ષ પણ થયું છે.