લેબેનોન અત્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. આવા સમયે સરકારે ફ્રી કોલિંગ સેવા આપતા વોટ્સએપ ઉપર ટેક્સ લાગુ કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિરોધ પ્રદર્શનના પગલે અત્યાર સુધી 4 મંત્રીઓએ રાજીનામાં આપી દેવા પડ્યા છે.
લેબેનોનમાં સરકારે વોટ્સએપ કોલ્સ ઉપર ચાર્જિઝ લાદી દેતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. સતત બીજા દિવસે લોકોએ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. આખરે સરકારે ઝુકવુ પડ્યું હતું અને આ ચાર્જિઝ રદ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે સરકારે વૉટ્સએપ અને અન્ય એપ્સ ઉપર વોઇસ કોલિંગ કરવાના દૈનિક 0.2 ડોલર એટલે કે આશરે 14 રૂપિયાના ભાવો લગાડી લીધા હતા.
આ નિર્ણયના પગલે લોકોના વિરોધ પ્રદર્શનોમાં લેબેનોનના સુરક્ષાદળો અને પ્રજા વચ્ચે ગંભીર અથડામણો થઇ હતી. હજારો લોકોએ દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીના મધ્યમાં આવા નિર્ણયો લેવા બદલ સરકારનો ભારે વિરોધ કર્યો હતો.
ગુરુવારે પ્રદર્શનકર્તાઓએ વિરોધમાં ટાયરો સળગાવ્યા હતા અને ટોળા વિખેરવા સુરક્ષાદળોએ ટીયર ગેસ શેલ છોડવા પડ્યા હતા. નિષ્ણાતોના મતે આ આંદોલન લેબેનોનના છેલ્લા થોડા વર્ષોના ઇતિહાસમાં થયેલું સૌથી ગંભીર આંદોલન હતું.
શું હતો વૉટ્સએપ ટેક્સ?
ગુરુવારે સરકારે voice-over-internet-protocol (Voip) એટલે કે વૉટ્સએપ, ફેસબુક મેસેન્જર, એપ્પલ ફેસ ટાઇમ વગેરે જેવી એપ્સ વડે થતા ફ્રી વોઇસ કોલ્સ ઉપર ડાયરેક્ટ ટેક્સ લાદયો હતો.
જો કે સરકારે આ ટેક હટાવી લીધો હતો પરંતુ દેખાવો ચાલુ રહ્યા હતા. દેશની રાજધાની બેરૂતના એક પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું કે આ વિરોધ ફક્ત વૉટ્સએપ માટે નથી. આ વિરોધ દેશના બળતણ, ખોરાક વગેરે તમામ બાબતોમાં સર્જાયેલી કટોકટીના કારણે ભભૂક્યો છે.
શુક્રવારે લેબેનોનના વડાપ્રધાન સાદ અલ હરીરીએ જણાવ્યું હતું કે દેશ અત્યારે કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે. જો કે તેમણે રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે સરકારના અન્ય પક્ષોને તેમના નિર્ણયોનો વિરોધ અટકાવી દેવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
લોકો શા માટે પ્રદર્શન કરી રહ્યા છે?
હજારો લેબેનીઝ લોકો આર્થિક કટોકટી માટે સરકારને દોશી ઠેરવી રહ્યા છે અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવા સડક ઉપર ઉતરી આવ્યા છે.
બેરૂતના એક નાગરિકે જણાવ્યું હતું કે તે પરિણીત છે અને તે બેરોજગાર છે. તેના મહિનાના ભાડાઓ ભરવાના બાકી છે અને આ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર છે.
હજારો લોકો બેરૂતના રિયાદ અલ સોલહ સ્કવેર પર "પ્રજા આ શાસનને તોડી પાડવા ઈચ્છે છે"ની ગર્જનાઓ કરતા ઉમટી પડ્યા હતા. આ પૈકી કેટલાય લોકોએ દેશના જંગલોમાં લાગેલી આગ બુઝાવવા માટે સરકારે પૂરતા પગલાં ન લેવાનો આક્ષેપ મુક્યો છે.