ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એટલે પક્ષપલટો થાય તેમાં કોઇ નવાઇ નહીં. વળી આ વખતે તો ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે ત્યારે દરેક પાર્ટી પોતાનો પક્ષ મજબૂત કરવા માટે તોડ જોડની રાજનીતિ કરી રહ્યા છે. એક તરફ પીએમ મોદી દ્વારા ગુજરાતમાં એકબાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અઠવાડિયે એકવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર આવતીકાલે કેસરિયો ધારણ કરશે.
કોંગ્રેસ-એનસીપી છોડનારા જોડાશે ભાજપમાં
જી, હા કોંગ્રેસ અને એનસીપી છોડનારા આવતીકાલે કેસરિયો ધારણ કરશે. નરેશ રાવલ અને રાજુ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરશે. આવતીકાલે ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રીની હાજરીમાં નરેશ રાવલ, રાજૂ પરમાર સહિતના આગેવાનો ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે આવતીકાલે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક યોજાશે.
પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત
મહત્વનું છે કે ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
'અહેમદ પટેલની કમી દેખાઇ '
નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.'