લોકસભાની ચૂંટણી આ વખતે નેતાઓ ને ભારે પડી ગઈ છે.કાળઝાળ ગરમી અને તાપમાં પણ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર શરૂ રાખ્યો છે.મતદારોને રીઝવવા ઉમેદવારે બળબળતા બપોરે પણ પોતાનું પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું છે.
જૂનાગઢ: લોકસભાની ચૂંટણી આ વખતે નેતાઓ ને ભારે પડી ગઈ છે.કાળઝાળ ગરમી અને તાપમાં પણ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર શરૂ રાખ્યો છે.મતદારોને રીઝવવા ઉમેદવારે બળબળતા બપોરે પણ પોતાનું પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું છે.
ગીર હાલ તાપ અને ગરમીથી ધગધગી રહ્યું છે ત્યારે ચૂંટણીનો ગરમાવો અને ઉપરથી બળબળતો ઉનાળો..! જુનાગઢ બેઠક પર આ વખત કસોકની લડાઈ છે.કોંગ્રેસના પૂંજાભાઈ વંશ અને ભાજપના રાજેશભાઇ ચુડાસમા બંને હાર ખમવા તૈયાર નથી આથી બંને ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આથી ભાજપ કોંગ્રેસનાં નેતાઓને આ કાળઝાળ ગરમી અને તાપ પણ નડતો નથી.ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે ત્યારે તાપમાનનો પારો પણ સતત વધી રહ્યો છે.પરંતુ નેતાઓ બળબળતા બપોરે પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારે ગરમી અને બફારામાં જૂનાગઢનાં સીટીંગ સાંસદ સભા સંબોધતા જોવા મળી રહ્યા છે.તો લોકોને મળવાનો એક પણ મોકો ચૂકતા નથી.ગરમી અને તાપથી થોડીવાર માટે રાહત મેળવવા પંખો અને ઠંડા પીણાનો સહારો લઇ રહ્યા છે.
2019-લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારો સમાંતર ચાલી રહ્યા છે. ખાસ કરીને આ બંને ઉમેદવારો ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તાર તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે.
આજે ભાજપના રાજેશભાઇ ચુડાસમાં ગિરગઢડા વિસ્તાર ખૂંદી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના પૂંજાભાઈ વંશ તાલાળા(ગીર) વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. ગીરનાં ગામો ખૂંદી રહ્યા છે.ગરમીનાં કારણે પૂંજાભાઈ લીંબુપાણી અચૂક પીવે છે. સાથે કોંગ્રેસના અનેક કાર્યકરો પણ પૂંજાભાઈને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
જુનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસનાં બંને ઉમેદવારો ગીર વિસ્તારમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ વિસ્તારમાંથી બંને ઉમેદવારોને લીડ મળવાની અપેક્ષા છે. ત્યારે ભાજપી ઉમેદવાર રાજેશ ચુડાસમા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજ અંગે પૂછવામાં આવતા રાજેશભાઇ એ જણાવ્યું હતું કે, 'હું પાંચ વર્ષથી સાંસદ છું.
દરેક લોકોને કદાચ સંતોષ ન આપી શક્યો હોય તેવું બને. પરંતુ આ વખતે પ્રજા મોદી સાહેબને મત આપશે.જેથી ભાજપનો જ્વલંત વિજય થશે.' તો સામે પક્ષે કોંગી ઉમેદવાર પૂંજાભાઈ વંશ પોતાની જીતનો દાવો કરતા કહે છે કે, 'રાષ્ટ્રીય મુદ્દાની સાથે સ્થાનિક મુદ્દા પણ મહત્વનાં છે.
ખેડૂતો વર્તમાન સરકારથી ત્રાહિમામ પોકારી ગયા છે. માટે જુનાગઢ બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે.' ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો જુનાગઢ બેઠક પર પોત પોતાની જીતનો દાવો કરી રહ્યા છે ત્યારે ભયંકર ગરમીમાં પણ પ્રચાર કરવા મજબૂર બન્યા છે. તે જ દર્શાવે છે કે આ બેઠક પર કાંટે કી ટક્કર છે.