દિલ્હીની હિંસા મામલે વિપક્ષે ભાજપ સરકારને સાણસામાં લીધી છે. એકબાજુ સોનિયા ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે તો બીજી તરફ શિવસેનાએ પણ દિલ્હી હિંસાને કાબુ ન કરી શકવા બદલ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.
કેન્દ્રના હાથમાં કાયદો અને વ્યવસ્થા હોવા છતાં કેમ કોઈ પગલાં ન લેવાયા : કોંગ્રેસ
ટ્રમ્પ અને મોદીના વાર્તાલાપ દરમ્યાન દિલ્હી સળગી રહ્યું હતું: શિવસેના
હાઈકોર્ટે પણ ઉગ્ર વલણ દાખવી કડક કાર્યવાહીનો આદેશ
કેજરીવાલે કર્યા કેન્દ્ર પર પ્રહાર
ત્રણ દિવસથી ભારે હિંસા પર CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ તોફાનો દિલ્હીવાસીઓએ નહીં પરંતુ બહારના અને કેટલાંક રાજકીય લોકોએ ફેલાવ્યાં છે. જે નફરતની રાજનીતિ કરવા માંગે છે. આજે દિલ્હી વિધાનસભામાં CM કેજરીવાલે કહ્યું કે આ હિંસામાં સૌથી વધુ નુકસાન દિલ્હીવાસીઓનું થયું છે અને એટલે જ હિંસા નહીં રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. કેજરીવાલે પોલીસના વખાણ કર્યા અને કેન્દ્ર પર વાર કરતા કહ્યું, કેટલાંક મામલાઓમાં એવું બન્યું છે જ્યાં પોલીસવાળાઓએ કહ્યું કે ઉપરથી કાર્યવાહી કરવાના આદેશ નથી. તેમણે કહ્યું કે પોલીસવાળાઓએ સ્થિતિ સંભાળવાની પૂરી કોશિશ કરી પરંતુ માહોલ અનુસાર તેમની પાસે સંખ્યા ઓછી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે એક-બે વીડિયો એવા પણ સામે આવ્યાં છે કે પોલીસ તોફાનકારીઓની મદદ કરતી દેખાઈ છે અને તેની તપાસ થવી જોઈએ.
કોંગ્રેસને મોકો મળી ગયો
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે હિંસાનો માહોલ રહેતા આખરે કોંગ્રેસ ઍક્ટિવ થઈ છે અને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સોનિયા ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં અમિત શાહને આ હિંસાની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપી દેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી 20થી વધુ લોકોના મોત થયાં છે અને સરકારે કંઈ કર્યુ નહીં. રવિવારથી ગૃહમંત્રી ક્યાં હતાં અને કેમ કોઈ પગલાં ન ભર્યા.
તેમણે કહ્યું હતું દિલ્હીનો કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથમાં છે આમ છતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ શા માટે પાછલા રવિવારે કોઈ પગલાં ન લીધા? દિલ્હીની ઇન્ટેલિજન્સ એજન્સી ઉપર પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
બીજી બાજુ શિવસેનાએ પણ પંજા માર્યા
સામના અખબારમાં શિવસેનાએ ભાજપ ઉપર પ્રહારો કરતા લખ્યું છે કે જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે હતા ત્યારે રાજધાનીમાં હિંસક ઘટનાઓ ઘટી રહી હતી. ટ્રમ્પ અને મોદીના વાર્તાલાપ દરમ્યાન દિલ્હી સળગી રહ્યું હતું. ત્યારે શું શિવસેના એમ કહી રહી છે કે ટ્રમ્પના સ્વાગતમાં વ્યસ્ત સરકાર દિલ્હીમાં થયેલી હિંસાઓને કાબૂ કરવાનું ભૂલી ગઈ?
આ ઘટનાને તેમણે 1984ના તોફાનો સાથે સરખાવીને જણાવ્યું હતું કે તે સમયે શીખો સામેના રમખાણોને કાબૂ કરવામાં કોંગ્રેસ નિષ્ફ્ળ ગયું હતું જે વાતને લઇને આજે પણ ભાજપ કોંગ્રેસ ઉપર આક્ષેપો મૂકે છે ત્યારે હાલના દિલ્હીના તોફાનોને શાંત નહી પાડી શકવા માટે કોણ જવાબદાર છે? શિવસેનાએ એમ પણ સવાલ કર્યો હતો કે ભાજપ જો એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 અને 35 A હટાવી શકે તો દિલ્હીની હિંસાને કેમ જડબેસલાક ન રોકી શકે?
કેટલાક લોકોના મતે ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણથી પરિસ્થિતિ ડહોળાઈ હતી અને ભાજપ ચૂંટણીમાં હારી જતા પરિસ્થિતિ વણસી હતી.
ભાજપના નેતાએ દિલ્હીનો માહોલ બગાડ્યો?
દિલ્હી હાઈકોર્ટે ભાજપના કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા એમ ત્રણ નેતાઓ પર ભડકાઉ નિવેદનો આપવા માટે તેમના વિરુદ્ધ પોલાસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે ઔવેસીએ પણ કપિલ મિશ્રા પર આડકતરી રીતે ટાર્ગેટ કરીને કહ્યું હતું કે મોદીજી તમને તમારા જ નેતાથી નુકસાન થશે. ગૌતમ ગંભીરે પણ કહ્યું હતું કે દિલ્હીમાં માહોલ કોઈના પણ કારણે બગડ્યો હોય તેના પર કાર્યવાહી થવી જ જોઈએ. આવામાં સવાલ એ થાય છે કે શું ખરેખર દિલ્હીમાં વધી રહેલી હિંસાને ઠારવામાં સરકારને કોઈ રસ નથી?
હાઈકોર્ટે પણ ઉધડો લીધો
દિલ્હી હાઈકોર્ટે હિંસાના મામલે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 1984 જેવી ઘટનાઓ ફરી નહીં થવા દેવામાં આવે. જેણે પણ ભડકાઉ ભાષણ આપ્યાં હોય તેના પર FIR કરવામાં આવે.
દિલ્હીમાં કેજરીવાલ 2.0 સરકારની શરૂઆત થઈ છે ત્યાં હજુ તોફાનોનો અંત નથી
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ અને કેજરીવાલની સરકાર ફરીથી ભારે બહુમતીથી ચૂંટાઈને આવી. આવામાં રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે કેજરીવાલને જે રીતે ચૂંટણીમાં ખોબલેને ખોબલે મતથી લોકપ્રિયતા હાંસલ થઈ છે તેની છબી ખરડાવવા પણ આ એક કાવતરું હોઈ શકે. આ ઉપરાંત તોફાન થયેલ વિસ્તારોમાં શા માટે વધુ પ્રમાણમાં પોલીસ ફોર્સ કે અન્ય સુરક્ષા દળો ન ખડકવામાં આવ્યા તે અંગે કોંગ્રેસે સવાલ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સીધી જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રાલયના માથે છે ત્યારે શું હજુ સુધી દિલ્હી સળગી રહી છે તેમાં પરિસ્થિતિ થાળે પાડવામાં મોદી સરકારનો પનો ટૂંકો પડી રહ્યો છે? ચર્ચા એવી પણ થઈ રહી છે કે સરકાર જ્યાં કાશ્મીરમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનો દાવો સાબિત કરી રહી છે તે જ સરકાર રાજધાનીમાં હિંસા અટકાવવામાં કેમ નબળી દેખાઈ રહી છે?
એવું કહેવાઈ રહ્યું છે કે શાહીનબાગમાં પણ પોલીસ બળપ્રયોગ કરીને CAA વિરોધીઓને ઉઠાડી શકતી હતી પરંતુ ચૂંટણી હોવાથી પોલીસને સંયમ રાખવાનું કહેવામાં આવ્યું હતું તેવી ચર્ચા ચાલે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પોલીસે કડક હાથે કરેલી કામગીરીના પગલે આ હિંસા ભડકી ઉઠી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં ભારતની રાજધાની સળગી રહી છે ત્યારે આશા રાખીએ રાજકીય નેતાઓ ભડકાઉ ભાષણ અને ખોટી રાજનીતિને બાજુમાં મૂકીને દેશના 'દિલ'હીના ટુકડે-ટુકડે ન થાય તેમાં રસ રાખીને સાચો રાજકીય ધર્મ નિભાવે..