સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી લોકસભા બેઠક પર ભાજપની સીધી ટક્કર શિવસેના અને અપક્ષ વચ્ચે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોહન ડેલકર પક્ષમાંથી છેડો ફાડી અપક્ષ તરીકે મજબૂતીથી પ્રચાર મેદાનમાં ભાજપને હરાવવા મેદાને પડ્યા છે તો આ તરફ ભાજપ ના સાથી પક્ષ એવા શિવસેના તરફથી એક મહિલા ઉમેદવાર મેદાનમાં પડી છે. ભાજપથી છેડો ફાડનારા અંકિતા પટેલ ભાજપના જ વર્તમાન સાંસદ નટુ પટેલને હરાવવા તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આ ત્રિકોણીયા જંગ પરજોઈએ આ ખાસ અહેવાલ.
રાજ્યના પડોશમાં વલસાડ જિલ્લાની હદને અડીને આવેલો દાદર નગર હવેલીએ સંઘ પ્રદેશ છે અને પૂરા પ્રદેશની એક માત્ર લોકસભાની બેઠક છે, પરંતુ એક બેઠક એ ચૂંટણી સમયે તમામ રાજકીય પાર્ટીઓ માટે ખરાખરીનો જંગ બની જાય છે. આથી આ વખતે દાદરાં નગર હવેલી લોકસભા બેઠક પર ચૂંટણી જંગ તમામ રાજકીય પાર્ટીઓ માટે પ્રતિષ્ઠાભર્યો બની રહ્યો છે.
2019ની ચૂંટણીમાં આ વખતે આ બેઠક પર પ્રદેશના ચાર જાણીતા ચહેરાઓ વચ્ચે જોરદાર ટક્કર જામી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવાર એમ આ ચાર ઉમેદવારો પ્રદેશના જાણીતા ચહેરાઓ છે. જેઓ એ ચૂંટણીજગમાં ઝંપલાવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, છેલ્લી બે ટર્મ થી દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર જીતતા આવેલા વર્તમાન સાંસદ નટુભાઇ પટેલને ભાજપે ફરીવાર ત્રીજી વખત રિપીટ કર્યા છે. સતત બે ટર્મથી જીતતા આવેલા નટુ પટેલ આ વખતે જીતની હેટ્રિક માટે મારવાના ઇરાદે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી મત માગી રહ્યા છે. જે મના પ્રયાસથી આ પ્રદેશને 150 સીટોની મેડિકલ કોલેજ, રીવરફ્રન્ટ યોજના સહિત અનેક મોટી યોજનાઓની ભેટ મળી છે.
આમ છેલ્લા દસ વર્ષમાં પોતાના કાર્યકાળમાં પણ નટુભાઇ પટેલે વિકાસના અનેક કામો કર્યા છે. જેને કારણે નટુભાઈ પટેલ આ વખતે તેમના કાર્યકરના દસ વર્ષના વિકાસના કામોનો હિસાબ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્ર સરકારના પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના નામે પ્રચાર કરી રહ્યા છે. જેથી નટુભાઈ પટેલ અત્યારથી જ જીતની હેટ્રિક માટે ઉત્સાહી છે અને આ વખતે કોઈપણ પક્ષના ઉમેદવાર કે કોઈ અપક્ષ ઉમેદવારની તેમને પરવા નથી, પરંતુ પ્રદેશની જનતા તેમને જ સ્વીકારશે અને ત્રીજી વખત તેમને જીત અપાવી દિલ્હી મોકલશે અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.