કરજણના કુરાલી ગામે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે આ મામલે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે હવે LCBએ જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મીન પટેલને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોંગ્રેસનો સક્રિય કાર્યકર હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસે કહ્યું કે, રશ્મીન પટેલે જૂતું ફેંકાવ્યું છે, ફેંક્યું નથી.
LCBએ જૂતુ ફેંકવાનું ષડયંત્ર કરનારને ઝડપી પાડ્યો
કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે રશ્મિન પટેલ
વડોદરા પોલીસે કહ્યું કે, રશ્મીન પટેલે જૂતું ફેંકાવ્યું છે, ફેંક્યું નથી
કુરાલી ગામે પોલીસની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે CCTV ફૂટેજ આધારે શંકાસ્પદને અલગ તારવ્યો છે. શકમંદના ફોટો આધારે શખ્સની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આજે જૂતું ફેંકવાનું ષડયંત્ર રચનાર રશ્મિન પટેલની ધરપકડ કરવામાં આવી છે. LCB પોલીસે શિનોરના રહેવાસી રશ્મિનની ધરપકડ કરી છે. રશ્મિન પટેલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે.
વડોદરા પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વડોદરા જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું છે કે, બાતમીના આધારે પોલીસે ષડયંત્ર રચનાર શખ્સની ધરપકડ કરી છે. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ મળી હતી.
રશ્મિન પટેલે જૂતું ફેંકવાનું કાવતરૂ રચ્યું હતુંઃ વડોદરા પોલીસ
પોલીસે જણાવ્યું કે, આરોપી જુતુ ફેંકવામાં સફળ થતા સેલીબ્રેશન કરવાનો હતો. પોલીસને આરોપીની ઓડિયો ક્લીપ મળી હતી. રશ્મિન પટેલે જૂતું ફેંકવાનું કાવતરૂ રચ્યુ હતુ. રશ્મિન પટેલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. કાવતરૂ રચવાની કલમો લગાવવામાં આવશે. કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ માંગવામાં આવશે. નીતિન પટેલની સભા નિષ્ફળ કરવાનો પ્રયાસ હતો.
રશ્મિન પટેલે ચપ્પલ ફેંકાવ્યુ છે, ફેંક્યુ નથીઃ વડોદરા પોલીસ
પોલીસે જણાવ્યું કે, કેસમાં FSLની પણ મદદ લેવામાં આવશે. અમિત પંડ્યા નામના વ્યક્તિ સાથે શખ્સની વાતચીત થઈ હતી. સભા વિક્ષેપ કરીને હુલ્લડનો પ્રયાસ હોઈ શકે છે. અમિત પંડ્યા વડોદરાનો છે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરે છે. રશ્મિન પટેલે ચપ્પલ ફેંકાવ્યુ છે, ફેંક્યુ નથી.
ભાજપે કોંગ્રેસ અને કોંગ્રેસે ભાજપ પર કર્યા હતા આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના પગલે કોંગ્રેસે કહ્યું હતું કે, જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે. તેમણે જ આ કૃત્ય કર્યું હશે. તો નીતિન પટેલે કહ્યું હતું કે, આ બધું કરવાથી કંઈ નહીં થાય, આ કૃત્ય વિરોધીઓનું જ છે. આજે મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું નીતિન પટેલ પર જુતુ ફેંકનાર કોંગ્રેસી જ હશે.