કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યસભામાં એવું જણાવ્યું છે કે જો છટણી ગેરકાયદેસ રીતે કરાશે તો કંપનીઓએ વળતર આપવું પડશે.
છેલ્લા કેટલાક સમયથી કંપનીઓ મનમાની રીતે કરી રહી છે છટણી
કંપનીઓની આડેધડ છટણીની સામે સરકાર કડક
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીએ રાજ્યસભામાં કહ્યું
ખોટી છટણીના કિસ્સામાં કંપનીઓએ આપવું પડશે વળતર
છેલ્લા કેટલાક સમયથી દેશની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓની પાછળ પડી ગઈ છે અને તેમની આજીવિકાનો વિચાર કર્યાં વગર મનમાની રીતે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. આડેધડ છટણીઓથી કર્મચારીઓનું ઘર બર્બાદ થઈ જાય છે અને તેમનો પરિવાર ભૂખે મરતો હોય છે. આવી મનમાની ધ્યાનમાં આવતા સરકારે તત્કાળ કાર્યવાહી કરતા કંપનીઓની સામે કરડી નજર કરી છે અને તેમને માટે એક નિયમ લાગુ પાડ્યો છે.
શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે શું કહ્યું
શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે રાજ્યસભામાં કહ્યું હતું કે જો આ છટણીઓ ઔદ્યોગિક વિવાદ અધિનિયમના નિયમો અનુસાર નહીં હોય તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે આઇટી, સોશિયલ મીડિયા અને એડટેક કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી છટણી અંગે સરકાર શું ધ્યાન રાખી રહી છે. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ઔદ્યોગિક વિવાદ 1947 હેઠળ લે-ઓફ અને છટણી થાય છે. તેમાં છટણીને લગતી જોગવાઈઓ છે. આ કાયદા મુજબ 100થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ લોકોને બરતરફ કરતા પહેલા સંબંધિત સરકારની મંજૂરી લેવી પડે છે.
કર્મચારી કંપની પાસેથી વળતર માગી શકે
મંત્રીએ કહ્યું કે જો આ છટણીઓ આ કાયદાની જોગવાઇઓ વિરુદ્ધ થઇ હોય તો નારાજ કર્મચારી કંપની પાસેથી વળતર માગી શકે છે. સાથે જ તે કંપનીમાં ફરી નોકરીનો દાવો પણ કરી શકે છે.કેન્દ્ર સરકાર કોઈ પણ બહુરાષ્ટ્રીય અને ભારતીય કંપનીના કર્મચારીઓના ડેટા જાળવતી નથી. તેમણે કહ્યું કે આ કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તેમના અધિકારક્ષેત્રમાં કાર્યવાહી કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર જો કંપની કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો છટણીનો મામલો કેન્દ્રીય ઔદ્યોગિક સંબંધોના તંત્ર સંભાળે છે.
મોટી મોટી કંપનીઓને કર્મચારીઓને કાઢવાનું ભૂત વળગ્યું
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેક કંપનીઓમાં મોટા પાયે છટણી થઈ રહી છે. નેટફ્લિક્સ, ટ્વિટર, મેટા, એમેઝોન જેવી કંપનીઓએ હજારો લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ મામલે ભારતીય કંપનીઓ પણ પાછળ નથી. બાયજુસ, જોશ અને હેલ્થિફાઇ જેવી કંપનીઓએ છેલ્લા કેટલાક સપ્તાહમાં લગભગ 13,618 કર્મચારીઓની છટણી કરી છે. આમાંથી બાયજુસે 2500 કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. આ ઉપરાંત અન્ય એક ભારતીય ઈ-કોમર્સ કંપની ઉડાને 350 કર્મચારીઓને છૂટા કર્યા છે.