એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ગાંધીનગર ખાતે BS6ની 91 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ વિવિધ રૂટની નવી એસટી બસોને લીલીઝંડી બતાવીને બસોનું પ્રસ્થાન કરાવ્યું.
એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર
ગાંધીનગર ખાતે BS6ની 91 નવી બસોનું લોકાર્પણ
પૂર્ણેશ મોદીએ વિવિધ રૂટની નવી એસટી બસોને લીલીઝંડી બતાવી
ગાંધીનગરના બસ સ્ટેશન ખાતેથી વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આજે 91 નવી એસટી બસોને લીલીઝંડી બતાવવામાં આવી. બી.એસ-06 નોર્મ્સ ધરાવતી 91 બસોનો આજે ગાંધીનગર ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં પૂર્ણેશ મોદીએ વિવિધ રૂટની નવી એસટી બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
91 જેટલી બસને લીલીઝંડી બતાવવામાં આવી
આ તકે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આજે એક વિશિષ્ટ દિવસ છે. વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર કમલોથી આજે વર્ચુઅલી હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદેથી 130 કિલોમીટર દૂર બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે એરબેઝનો કાર્યક્રમ સવારે સંપન્ન થયો. હાલ અત્યારે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી અમારી ગુજરાત સરકાર જેમના વાહન વ્યવહાર વિભાગ તરફથી દર વર્ષે 1000 બસ કંડમ થાય અને 1000 બસ નવી મૂકવામાં આવે છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલા BS6 નોર્મ્સ ધરાવતી 251 અને ૩ LNG નવી બસોને લીલીઝંડી બતાવવામાં આવી હતી અને આજે પણ 91 જેટલી બસને લીલીઝંડી બતાવવામાં આવી છે. આ બસોને લોકસેવામાં મૂકવામાં આવી છે.
દરરોજ 25 લાખ જેટલા મુસાફરો લઈ રહ્યા છે એસટીનો લાભઃ પૂર્ણેશ મોદી
તેમણે જણાવ્યું હતું કે, સરકારનું આ સેવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. દરરોજ 25 લાખ જેટલા મુસાફરો ગુજરાત એસટીનો લાભ લઈ રહ્યા છે. 08 નવેમ્બર 2021 દિવાળીની રજામાં ગત વર્ષે એસ.ટી બસના સમગ્ર હિન્દુસ્તાન નહીં પરંતુ વિશ્વ વિક્રમ 95,438 જેટલા બુકિંગ થયા હતા. લોકોએ એસટી પર ભરોસો મૂક્યો છે.
ડ્રાઈવરો અને કંડક્ટરોની ઘણી માંગો સંતોષી લેવાઈ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત એસટી વિભાગના 40,000 હજાર ડ્રાઈવરો અને કંડક્ટરોની ભૂતકાળમાં જે માંગણી હતી, તેમાંથી ઘણી માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. અનેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો છે. ગ્રેડ-પેમાં વધારો કરાયો છે. આમ એસટી વિભાગના તમામ કર્મચારીઓને દિવાળીની હું શુભેચ્છા આપું છું,
વધારાની એસટીની ટ્રીપો લોકોને મદદરૂપ થશે
સમગ્ર ગુજરાતની અંદર રજાનું વાતાવરણ ધનતેરસથી શરૂ થશે. દેવઉઠી અગિયાર સુધી આ વેકેશન ચાલશે. પરંતુ ગુજરાતમાં એસટીના રૂટ ચાલશે. આ તહેવારોની રજા દરમિયાન એસટી નિગમ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. આ વધારાની એસટીની ટ્રીપો લોકોને મદદરૂપ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા BS6 નોર્મ્સ ધરાવતી 251 નવી બસ અને ૩ LNG બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, વાહનવ્યવહાર અગ્ર સચિવ એમ.કે. દાસ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના મેનેજીંગ ડીરેકટર એમ.એ.ગાંધી સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.