અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. વાવાઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી એટલે કે 13 જૂન વહેલી સવારે દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે. સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે હવામાન વિભાગે કહ્યું હતું કે અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે વાવાઝોડું ફંટાવવાની શક્યતા નહિવત્ છે તેમ પણ કહ્યું છે.
સંભવિત વાવાઝોડના લઈને સરકારે પરિસ્થિતિને પહોચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત છે. જેમાં ગીર સોમનાથના લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ નંબરની યાદી જાહેર કરાઈ છે.
કલેક્ટર કચેરીના 02876-285063/64 નંબર પર સંપર્ક કરવો.
વેરાવળ મામલતદાર કચેરીના નંબર 02876- 244299 પર સંપર્ક કરી શકાશે.
તલાળા મામલતદાર કચેરીના નંબર 02877- 222222 પર સંપર્ક કરી શકાશે.
સૂત્રાપાડા મામલતદાર કચેરીના નંબર 02876-263371 પર સંપર્ક કરી શકાશે.
કોડિનાર મામલતદાર કચેરીના નંબર 02895- 221244 પર સંપર્ક કરી શકાશે.
ઉના મામલતદાર કચેરીના નંબર 02875-222039 પર સંપર્ક કરી શકાશે.
ગીર ગઢડા મામલતદાર કચેરીના નંબર 02875-243100 પર સંપર્ક કરી શકાશે.
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે, સાથોસાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને વાયુ નામ આપ્યું છે.
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી સર્જાયેલુ વાયુ વાવાઝોડું સૌથી પહેલા સૌરાષ્ટ્રના કોડિનાર, દીવ અને ત્યારબાદ ઉનામાં ત્રાટકશે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવની ટીમો એલર્ટ રાખવામાં આવી છે. NDRF, SDRF અને આર્મીની 22 જેટલી ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
આ વાયુ વાવાઝોડુ 30થી 35 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. સોમવારે એટલે કે ગઇકાલે સવારે આ વાવાઝોડું વેરાવળથી 740 કિલોમીટર દૂર હતું, જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. 12 જૂને મધરાતે 2 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું વણાકબારા અને દીવમાં ત્રાટકશે. ત્યારબાદ ધીમે-ધીમે આગળ વધશે. ઉના, કોડિનાર, વણાકબારા, દીવ સહિતના આજૂબાજૂના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્રતા રહેશે. 12મીએ મધરાતે ત્રાટકનાર વાવાઝોડું 13મી બપોર બાદ ધીમું પડશે, આ સમય. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને લઇ ગાંધીનગર ખાતે બેઠકોનો દોર:
ગુજરાતમાં વાયું વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે વાયુ વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગૃહ વિભાગની કામગીરીની રૂપરેખા તૈયાર કરવા બેઠક બોલાવવામાં આવી છે. ચીફ સેક્રેટરી જે.એન સિંઘની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ આનંદ તિવારી અને DGP શિવાનંદ ઝા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાવાઝોડામાં ગૃહ વિભાગની કામગીરીને લઈને ચર્ચા કરાઈ હતી..
વાવાઝોડાના ખતરાને લઇ આરોગ્ય વિભાગની કવાયત:
વાયુ વાવાઝોડાની દહેશતને લઇ રાજ્ય આરોગ્ય કમિશનર જયંતિ રવિ દ્વારા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરાઇ છે. રાજ્ય આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કહ્યું કે, તમામ આરોગ્ય અધિકારીની રજા રદ કરવામાં આવી છે. તમામ અધિકારીએ સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો છે અને 108 ઉપરાંત ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવમાં આવી છે. સાથે જ તમામ દવાઓનો યોગ્ય પુરવઠો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
NDRFની કેટલી ટીમો ક્યાં તૈનાત:
ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકિનારે અલર્ટ જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને બચાવ અને રહાત કાર્ય માટે NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. NDRFની વાત કરવામાં આવે તો કચ્છમાં 2, લાલપુરમાં 2, ઓખામંડળમાં 2, પોરબંદરમાં 3, કોડીનારમાં 5, માલિયામાં 2, જાફરાબાદમાં 4, મહુવા તલાલમાં 1, ઓલપાડમાં 1, પારડીમાં 1 અને રાજકોટમાં 1 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો દરિયાકાંઠાના વિસ્તારોને પણ અલર્ટ કરી દેવાયા છે. જ્યારે માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે.
જામનગરમાં NDRFની ટીમ અલર્ટ:
જામનગરમાં વાયુ વાવાઝોડાને લઇ NDRFની ટીમ અલર્ટ થઈ ગઈ છે. દરિયાકાઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF તૈનાત કરાઈ છે. મળતી માહિતી મુજબ બચાવ રાહતની કામગીરી માટે NDRFની ટીમ તૈનાત રહેશે. તો માછીમારી માટે ગયેલી તમામ બોટ પરત ફરી છે. કોસ્ટલ વિસ્તારના 25 ગામોમાં વહીવટી ટીમ કાર્યરત કરવામાં આવી છે. દરિયામાં રહેલ કાર્ગો-વેસલ્સ કિનારે લાંગરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને ફિશરીજ-વહીવટી તંત્ર દ્વારા ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ભાવનગરમાં એલર્ટ: ઘોઘો દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ:
ભાવનગર અને ભરૂચ વચ્ચે ચાલતી ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી એકવાર બંધ કરવામાં આવી છે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ વાવાઝોડાને પગલે બંધ રાખવામાં આવી છે. એસ.ટી.ના તમામ ડ્રાઈવર અને કંડક્ટરની પણ રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અધિકારી અને કર્મચારીઓને પણ એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે વાવાઝોડાના ખતરા સામે લોકોને માહિતી પહોંચાડવામાં પણ આવી રહી છે.
પોરબંદરમાં તંત્ર દ્વારા સલામતીને લઈ વિવિધ પગલા:
સંભવિત વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા સલામતીને લઈ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પોરબંદર જીલ્લા કલેકટર મુકેશ પંડયાએ કોસ્ટગાર્ડ, નેવી અને પોલીસ સહીતની સુરક્ષાા એજન્સી સાથે બેઠક યોજી હતી અને ખાસ કરીને દરીયા કીનારના ૩૯ જેટલા અસરગ્રસ્ત ગામોમાં આશ્રય સ્થાનો બનાવામાં આવ્યા છે. તેમજ એક એનડીઆરએફની એક ટીમ આજ સાંજના 6 વાગ્યા સુધીમાં પોરબંદર આવી પહોચશે. વાવાઝોડાના કારણે વધારે નુકશાન થાય તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રી ટ્રીમીગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર જીલ્લા વહીવટી તંત્ર દવારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. વાવાઝોડાને લઈ લોકોએ શુ તકેદારી રાખવી તે અંગે ની વિગત આપવામાં આવી રહી છે.
વાયુ વાવાઝોડાને લઇ દ્વારકા તંત્ર એલર્ટ:
દ્વારકામાં વાયુ વાવાઝોડાને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેમાં ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે જ ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. તો બીજી તરફ જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે.
રાજકોટમાં 'વાયુ' વાવાઝોડા પગલે કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બેઠક:
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ રાજકોટમાં કલેક્ટર, એડિશનલ કલેક્ટર અને ટીડીઓએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને મામલતદાર પણ હાજર છે. તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે બેઠકમાં સૂચના આપવામાં આવી છે. તો રાજકોટમાં આજે 32 લોકોની NDRFની ટીમ પણ પહોંચશે. રાજકોટના ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરના 35 જેટલા ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ભરૂચ દરિયાકાંઠાના 40 ગામો એલર્ટ:
ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે હવે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના 40 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. વાવાઝોડાને લઈને કલેક્ટર સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ 72 કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચવા આપવામાં આવી છે અને જરૂર પડે NDRFની ટિમ બોલાવવા કલેકટરને આદેશ અપાયા છે.
જાફરાબાદ બંદર એલર્ટ:
અરબસાગર સમુદ્રમાં સાયકલોનના પગલે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવતા અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે તો હાલ દરિયામાં મોજા ઉછલી રહ્યા છે અને એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગીર સોમનાથ તંત્ર એલર્ટ:
વાયુ વાવાઝોડાને લઇને ગીર સોમનાથમાં પણ તંત્ર દ્વારા દરિયાકાંઠાના 40 ગામોને એલર્ટ કરાયા છે. વેરાવળના 8, સુત્રાપાડાના 7, કોડીનારના 8 ગામને એલર્ટ કરાયા છે. તો ઉનાના 17 ગામને સંભવિત વાવાઝોડાને લઇ એલર્ટ કરાયા છે અને NDRFની ટીમ વેરાવળ મોકલાવામાં આવી છે.
કચ્છ ગામડાઓ કરાવી શકાય છે ખાલી:
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની વધુ અસર થઈ શકે છે. જેને પગલે કોસ્ટલ એરિયાથી નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ કોસ્ટલ એરિયા નજીકના ગામડાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મહેસુલ વિભાગે લકેક્ટરો પાસે આવા ગામડાઓ અને શહેરોની વિગતો માગી છે. જે મામલે કલેક્ટર બપોર સુધીમાં સરકારને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે અને વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ગામડાઓ ખાલી કરાવવા અંગે નિર્ણય લેવાશે. તો લોકોનું સ્થળાંતર કરીને શાળા અને ધર્મશાળામાં લોકોને આશરો આપવા માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
વડોદરાથી NDRFની 9 ટીમો રવાના:
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. જેને લઇ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળતા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. વડોદરાના જરોદથી NDRFની 9 ટીમને મોરબી, સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ, કંડલા, દ્વારકા અને જૂનાગઢ રવાના કરાઇ છે.
વાયુ વાવાઝોડાને લઇ સુરત વહીવટી તંત્ર સતર્ક:
વાયુ વાવાઝોડાને લઇ સુરત વહીવટી તંત્ર સતર્ક છે. ત્યારે ડુમસ, હજીરા, સુવાલી સહિતના દરિયાકિનારે ખેડૂતોને દરિયો ન ખેડવા આદેશ આપવામાં આવ્યો છે. ડુમસ અને હજીરા વચ્ચે કોસ્ટગાર્ડની બોટ તહેનાત કરી દેવાઇ છે અને સ્થાનિક માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના અપાઇ છે. ઉપરાંત હજીરા પોર્ટની આસપાસ તમામને વાયુ વાવાઝોડાની જાણકારી આપી દેવાઇ છે.
વલસાડમાં જિલ્લા તંત્ર અલર્ટ મોડ પર:
વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં તંત્રને અલર્ટ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વલસાડમાં જિલ્લા તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને જિલ્લાની તમામ 1200 બોટ કિનારે લગાવવામાં આવી છે. તો આગામી 3 દિવસ સુધી વહીવટી તંત્ર અલર્ટ મોડ પર રહેશે.
નવસારી વહીવટી તંત્ર પણ સતર્ક:
સંભવિત વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી બાદ નવસારી વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. નવસારી જિલ્લા કલેક્ટરની સૂચના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દીધી છે. સાથે દરિયા કાંઠે રહેતા લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે જોકે માછીમારી પરત ફર્યા છે જે વાવઝુડુંને લઈને નુકશાની નુકશાની વેઠવી પડી છે બે દિવસ ની અતિભારે વરસાદ અને વાવાઝૂડાને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે.