રાજ્યમાં ઢોર નહિ પણ તંત્ર જ રેઢીયાળ હોય તેમ સપ્ટેમ્બર મહિનામાં રખડતાં ઢોરને કારણે 471 લોકોના અકસ્માત થયા હોવાનું સામે આવ્યું હતું.
રાજ્યભરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત
સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતાં ઢોરને કારણે અકસ્માત
સૌથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા
રાજ્યમાં વકરેલા રખડતાં ઢોરના ત્રાસને લઇને લોકો તોબા પોકારી ગયા છે. અનેક આયોજનો ઘડવામાં આવ્યા છતાં આયોજનની ત્રુટી ઉપરાંત તંત્રનો પન્નો ટૂંકો પડતો હોવાથી આ સમસ્યા અટકવાનું નામ જ લેતી નથી. જેના જીવતા જાગતા ઉદાહરણ રૂપે સપ્ટેમ્બરમાં રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે 471 લોકોના અકસ્માત થયા હોવાનું જાહેર થવા પામ્યું છે.
સપ્ટેમ્બર મહિનામાં 471 લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બન્યા
રસ્તા પર અડિંગો જમાંવીને બેસેલા રખડતા ઢોરને લઈને રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બન્યા છે. 471 લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં સોથી વધુ અમદાવાદમાં 52 લોકોના અકસ્માત થયા છે. જ્યારે અમરેલીમાં 17, આણંદમાં 8, અરવલ્લીમાં 17 લોકો, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 10 અને ભાવનગરમાં 19 લોકોના અકસ્માત થયા છે. આથી તંત્રની કામગીરી અંગેના દાવા પરથી પરદો ઊંચકાયો છે અને વાસ્તવિક્તા લોકો સમક્ષ ઉઘાડી પડી છે.
ગઈકાલે અમદાવાદમાં યુવાનનું થયું હતું મોત
ગઈકાલે જ અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને રખડતા ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધો હતો. રખડતા ઢોરની અડફેટમાં આવતા યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આથી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ભાવિન પટેલને બ્રેઈનમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે અંતે યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત ભાવિન પટેલનું મૃત્યુ થયું હતું. વધુમાં ગઇકાલે તાપીમાં સર્જાયેલા આખલા યુદ્ધને લઇને 15 બાઇકોનો ભુક્કો બોલી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું.