કોરોના સંકટની વચ્ચે બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે સોમવારે પહેલા ચરણની 71 બેઠકો માટે પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસના કારણે રાજ્યમાં આજે અનેક મોટી રેલી થનારી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી નીતિશકુમાર, રાષ્ટ્રીય જનતાદળના નેતા તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ આજે ચૂંટણી રેલી કરવા જઈ રહ્યા છે.
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સંબોધશે 2 સભા
સ્મૃતિ ઇરાની,રવિકિશન, ભૂપેન્દ્ર યાદવ સંબોધશે સભા
CM નીતિશકુમારની 3 રેલીઓ, RJDના તેજસ્વી યાદવની 10થી વધુ સભા
ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ, અભિનેતા અને સાંસદ રવિ કિશન આજે રાજૌલી, નવીનગર, દિનારા અને બક્સરમાં રેલીને સંબોધિત કરશે. આ સિવાય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સંજય જાયસ્વાલની 3 રેલી યોજાશે. ભાજપના નેતા વરસાલીગંજ, બોધગયા અને શાહપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
નીતિશ કુમારની આજે 3 રેલી
બિહારમાં આ વખતે 3 ચરણમાં મતદાન થઈ રહ્યું છે. પહેલાં ચરણનું મતદાન 28 ઓક્ટોબરે થનારું છે. આ માટે પહેલા ચરણના પ્રચારનો અંતિમ દિવસ છે. દરેક દળ મતદાતાને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. નીતિશ કુમાર અને ભાજપ અઘ્યક્ષ નડ્ડા આજે મુઝફ્ફરપુર, મહુવા, મનહરમાં જનસભા કરશે. નીતિશ જે જગ્યાઓએ રેલી કરી રહ્યા છે ત્યાં બીજા ચરણમાં મતદાન થવાનું છે.
તેજસ્વી યાદવની 10થી વધુ સભાઓ
રાષ્ટ્રીય જનતા દળ પણ મતદાતાને આકર્ષવાની કોશિશમાં રહ્યું છે. પાર્ટીના નેતા તેજસ્વી યાદવ આજે સવારે 10 વાગે ભાગલપુરમાં, ખગડિયા, વૈશાલી, બેગુસરાયમાં જનસભા કરશે. ભાગલપુરમાં 5 સભાઓ, ખગડિયામાં 4 અને આ સિવાય અન્ય 4 જગ્યાએ રેલી કરશે.