સુરક્ષાદળો અને ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં ભલે સતત આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળ થયા હોય, પરંતુ સરકારી આંકડાઓ દર્શાવે છે કે, કાશ્મીર ઘાટીમાં હજુ પણ નવા આતંકીઓની ભરતીમાં કોઈ ઘટાડો થયો નથી.
જમ્મુ-કાશ્મીરમાં અડધું વર્ષ વીત્યા બાદ અત્યાર સુધીમાં 121 આતંકીઓ ઠાર મરાયા છે, જેમાંથી 21 પાકિસ્તાની મૂળના હતા. કુલ માર્યા ગયેલા આતંકીઓમાંથી 82 ટકા આતંકીઓ ફક્ત કાશ્મીર ઘાટીના જ હોવાનો ખુલાસો થયો છે. આમાંથી મોટાભાગના એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરમાં થયા હતા, જેમાં પુલવામામાં 36 આતંકી, શોપિયાંમાં 34 અને અનંતનાગમાં 16 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં કાશ્મીરી યુવાનોના આતંકી સંગઠનો સાથે જોડાવાના આંકડામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. એક અહેવાલ અનુસાર, 2019માં નવા આતંકીઓની ભરતી પુરજોશમાં ચાલી રહી છે. આ સિલસિલો સતતત ચાલુ જ છે અને અત્યાર સુધીમાં 76 યુવાનોએ હથિયાર ઉઠાવ્યા છે, જેમાંથી 39 હિઝબુલ મુજાહિદ્દીન અને 21 જૈશ-એ-મોહમ્મદમાં જોડાયા છે.
આમાંના મોટભાગના દક્ષિણ કાશ્મીરના યુવાનો જ છે. નવા આતંકીઓમાં પુલવામાના 20, શોપિયાંના 15, અનંતનાગના 13 અને કુલગામના પણ કેટલાક યુવાનો સામેલ છે. આ તમામ યુવાનો જાન્યુઆરીથી જૂન દરમિયાન આતંકી સંગઠનોમાં જોડાયા હતા. જમ્મુ- કાશ્મીરમાં ઝડપભેર ફેલાઈ રહેલા આતંકના આંકડાની આ તમામ જાણકારી સરકારી દસ્તાવેજોમાં પણ છે. ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં આતંક ચરમસીમાએ છે અને ત્યાંના યુવાનો સૌથી વધુ આતંકી બની રહ્યા છે.
નોંધનીય છે કે, આ વર્ષે ગરમીના મહિનાઓ દરમિયાન સરહદ પર ક્રૉસ બોર્ડર એક્શન કે ઘૂસણખોરીની બહુ ઘટનાઓ સામે આવી નથી. સીઝફાયરનું ઉલ્લંઘન મોટાભાગના સ્થળોએ સાવ નાના હથિયારોથી જ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા છ મહિનામાં 100થી વધુ આતંકી ગતિવિધિઓમાંથી પુલવામામાં 32, શોપિયાંમાં 23, અનંતનાગમાં 15 અને શ્રીનગરમાં 10 ઘટના બની હતી.
મોટાભાગની આતંકી ગતિવિધિઓમાં સુરક્ષાદળો પર ફાયરિંગ, ગ્રેનેડ એટેક, પેટ્રોલ બોમ્બ ફેંકવા, આઈઈડીથી હુમલા કરવા, હથિયાર છીનવી લેવા અને સુરક્ષાદળોના જવાનો અપહરણ કરી બંદી બનાવવા જેવી ઘટનાઓ બની હતી. પથ્થરમારાના 228 કેસ સામે આવ્યા હતા, જ્યારે 346 હિંસક પ્રદર્શનો થયા હતા. છેલ્લા છ મહિનામાં 10 વખત ‘કાશ્મીર બંધ’નું એલાન આપવામાં આવ્યું હતું.