ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનું ચંદ્ર પર ઉતરતા સમયે ઇસરો સાથે સંપર્ક તૂટ્યો હતો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે તે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઊંચાઇ પર હતું. ઇસરો સેન્ટર પર હાજર પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો.
ચંદ્ર તરફ આગળ વધી રહેલું ઇસરોનું મિશન ચંદ્રયાન-2 અત્યાર સુધીના સૌથી જટિલ તબક્કામાંથી પસાર થવા માટે તૈયાર હતું. તે દરમિયાન અચાનક ઉતરાણના અંતિમ સમયે સંપર્ક વિહોણું બન્યું છે. શુક્રવાર અને શનિવારે મધ્યરાત્રિએ ચંદ્રયાનથી નીકળેલા વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનું હતું. પરંતુ હાલ સંપર્ક તૂટ્યો છે.
કે. સિવનનો ડર સાચો પડ્યો
ઇસરોના અધ્યક્ષ કે.સિવને અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી તે સાચી નિવડી. તેમણે કહ્યું હતું કે 'અંતિમ 15 મિનિટ ખરાખરીનો જંગ હશે. ચંદ્રની સપાટીથી 30 કિમી પરથી ઉતરાણ શરૂ થશે. આ સમયગાળો 15 મિનિટનો હશે.' તેમણે જે વાત કહી હતી તે પ્રમાણે જ છેલ્લી પડકાર રૂપ બની છે.
આ ટૂંકા સમયગાળાને '15 Minutes of Terror' એટલે કે ભયથી ભરેલી પંદર મિનિટ પણ કહેવામાં આવે છે. ઇસરોના વૈજ્ઞાનિકો માટે પંદર મિનિટ આ મિશન (Chandrayaan-2)ની સૌથી મોટો પડકાર રૂપ હતી, કેમ કે વિક્રમ લેન્ડર અને તેમાં મૂકવામાં આવેલા પ્રજ્ઞાન રોવરને કોઈ નુકસાન થયા વિના ચંદ્રની સપાટી પર ઉતારવાનું હતું. જોકે હાલ તેનો સંપર્ક તૂટ્યો છે જેથી ચંદ્રયાનનો સંપર્ક સાધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શું કહ્યું હતું ઇસરોના અધ્યક્ષે?
જો તમે યાન દ્વારા કંઇ છોડવા માગો છો તે કોઇ ફુટબોલની જેમ નીચે પડે છે. આ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા માટે એકદમ નવી જ છે. જે લોકોએ આ પહેલા પણ કાર્ય કર્યું હતું તેમના માટે પણ તે એક જટિલ પ્રક્રિયા છે. જેને આપણે પહેલી વખત કરી રહ્યા છીએ.
આપણા માટે અંતિમ 15 મિનિટ ખુબ જ અગત્યની છે. જેમ યાન નીચે આવી રહ્યું હોય અને ત્યારે કાળજી લેવી પડે એવી જ રીતે કોઇ બાળકનો હાથ પકડીને નીચે ઉતારવાનુ હોય તે કામ યાનની પ્રોપલ્શન સિસ્ટમ કરે છે.