ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોનો અભાવ, કોલેજો પણ પ્રોફેસરોની જગ્યા ખાલી
શું આવી રીતે ભણશે ગુજરાત ?
કુલ 28212 શિક્ષક અને આચાર્યની જગ્યા ખાલી
105 સરકારી કોલેજમાં કુલ 1 હજાર 78 જગ્યા ખાલી
એક તરફ શિક્ષકોને વિદ્યાર્થીઓને સારામાં સારુ શિક્ષણ આપવાનું કહેવામાં આવે તો બીજી તરફ શિક્ષકોને સરકારી કામોમાં જોતરી દેવામાં આવે. એક તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા બાબતે જોર આપવામાં આવે તો બીજી તરફ એવા ઘણા ગામો છે જ્યાં પ્રાથમિક શિક્ષણ પણ બાળકોના નસીબમાં નથી. એક તરફ હાઇટેક અને સ્માર્ટ શિક્ષણની વાતો કરવામાં આવે તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં શાળા માટે છત પણ નથી. જો કે શિક્ષણની ગુણવત્તા ત્યારે જ સુધરે જ્યારે શિક્ષકોની હાજરી હોય. વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા થતા શિક્ષકોની ખાલી જગ્યાને લઇને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
રાજ્યમાં કુલ 28212 શિક્ષક-આચાર્યની જગ્યા ખાલી
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી જગ્યા વિશે વાત કરીએ તો, પ્રાથમિક શાળામાં 16318 શિક્ષકનો જગ્યા ખાલી છે જ્યારે આચાર્યની 1028 જગ્યાઓ ખાલી છે. માધ્યમિકમાં 730 શિક્ષકોની જગ્યા ખાલી છે તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં 756 શિક્ષકની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 774 શિક્ષકની જગ્યા ખાલી છે જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 2547 શિક્ષકની જગ્યા ખાલી છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3498 શિક્ષકની જગ્યા ખાલી છે. આમ રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં કુલ 28212 શિક્ષક અને આચાર્યની જગ્યા ખાલી પડેલી હોવાનો ખુલાસો થયો છે.
સરકારી કોલેજોમાં પણ જગ્યા ખાલી
ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે શિક્ષક તો જોઇએ જ. ભલે હાઇટેક અને સ્માર્ટ યુગ થઇ ગયો હોય પરંતુ શિક્ષક વિના વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે.
રાજ્યની સરકારી આટ્સ, કોમર્સ, અને સાયન્સ કોલેજમાં પ્રોફેસરોની જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કુલ 105 સરકારી કોલેજ છે જેમાં કુલ 1 હજાર 78 જગ્યા ખાલીઓ ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્યના મહીસાગર, વડોદરા, મોરબી, જિલ્લામાં તો એક પણ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોલેજ નથી.