ગુજરાતમાં હાલમાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિના ટ્રાન્સફર બાદ ગુજરાતના નોકરશાહીના માળખામાં ધરખમ ફેરફાર થવાના એંધાણ છે
ગુજરાતના મોટા વિભાગોમાં થશે ધરખમ ફેરફાર
જુદા જુદા વિભાગોને મળશે નવા સચિવ
પહેલા રાઉન્ડમાં ઘણા બધા અધિકારીઓની બદલીના એંધાણ
ગુજરાતમાં હાલમાં આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિના ટ્રાન્સફર બાદ ગુજરાતના નોકરશાહીના માળખામાં ધરખમ ફેરફાર થવાના એંધાણ છે. ગુજરાતને જુદા જુદા વિભાગોને નવા સેક્રેટરી મળે તેવી પૂરી સંભાવના છે. ધરમૂળ ફેરફારને લઈને રાજ્યના ટોપ અધિકારીઓમાં પણ ચર્ચા તેજ બની છે.
જયંતી રવિના ટ્રાન્સફર બાદ હવે નવા આરોગ્ય સચિવ મળશે
ગુજરાત કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે જેમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સૌથી મોટી જવાબદારી છે ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ જયંતી રવિની તમિલનાડુમાં બદલી કરી દેવામાં આવી છે. જયંતી રવિને જગ્યાએ હવે આરોગ્ય ખાતામાં નવા સચિવની નિમણૂક કરવામાં આવશે. સરકારના સૂત્રો અનુસાર VTVને મળેલી માહિતી અનુસાર નાણાં મંત્રાલયમાં કોમર્શિયલ ટેક્સના ચીફ કમિશનર જેપી ગુપ્તા આરોગ્ય સચિવ બનવાની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુપ્તાને આરોગ્ય વિભાગનો પણ પૂર્વમાં અનુભવ છે કારણ કે તેઓ હેલ્થ કમિશનર રહી ચૂક્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. કોરોના વાયરસ મહામારીના કાળમાં જયંતી રવિની કામગીરીથી સરકાર પણ નારાજ હોવાની વાતો અધિકારીઓમાં વહેતી થઈ હતી ત્યારે હાલ અધિકારી માની રહ્યા છે જે આરોગ્ય સચિવના પદ પર જે પણ વ્યક્તિ આવશે તે જયંતી રવિ કરતાં સારો હશે.
રેવન્યુ વિભાગને મળશે નવા સચિવ
આ સિવાય પંકજ કુમારને ગૃહખાતાને મૂકવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે, એવામાં તેમની જગ્યા પર રેવન્યુ વિભાગમાં નવા અધિકારીની વરણી કરવામાં આવશે. નોંધનીય છે કે પંકજ કુમાર હાલમાં ACS તરીકે ગૃહ ખાતાનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે.
શહેરી વિકાસ વિભાગના મુકેશ પૂરીને રેવન્યુ વિભાગમાં મૂકવામાં આવી શકે છે, પુરી છેલ્લા ચાર વર્ષથી શહેરી વિકાસમાં જ કામ કરી રહ્યા છે જેથી હવે તેમની બદલી કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉદ્યોગ ખાતાને પણ ફૂલ ટાઈમ સેક્રેટરી મળશે
જ્યારે એક સાથે આટલા અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે સરકારનું માનવું છે કે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ફૂલ ટાઈમ સેક્રેટરીની જરૂર છે. નોંધનીય છે કે CMOના એડિશનલ ચીફ સેક્રેટરી MK દાસ છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગ અને ખાણ વિભાગનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે.
GMDCના ચીફે ચાર વર્ષ પૂર્ણ કર્યા
ઉચ્ચ શિક્ષણના પ્રિન્સિપલ સચિવ અંજુ શર્માની પણ બદલી કરવામાં આવશે કારણ કે તેઓ આ વિભાગમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરી રહ્યા છે. અંજુ શર્માની જેમ જ GMDCના ચીફ અરુણ કુમારે પણ પોતાના પદ પર ચાર વર્ષ પૂરા કરી લીધા છે જેથી તેમની પણ બદલી કરવામાં આવી શકે છે.
વિવિધ રાઉન્ડમાં થશે બદલીઓ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર જુદા જુદા રાઉન્ડમાં અધિકારીઓની બદલી કરવા જઈ રહી છે જેમાં પહેલા રાઉન્ડમાં માત્ર સેક્રેટરી લેવલમાં મોટા અધિકારીઓને બદલવામાં આવશે જે બાદ બીજા રાઉન્ડમાં જિલ્લા લેવલના કલેકટર અને DDO સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે બે કે ત્રણ દિવસમાં જ ટ્રાન્સફરના આદેશ આપવામાં આવી શકે છે ત્યારે રાજ્યના કોઈ મ્યુનિસિપલ કમિશનર બદલાશે કે નહીં તેના પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.