ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં યોજનારી સાત વિધાનસભાની પેટાચૂંટણીઓની જવાબદારી કોંગ્રેસનાં સિનિયર નેતાઓને સોપવામાં આવી છે. કોંગ્રેસનો એવો દાવો છે કે તે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કરશે. જો કે એ વાત મહત્વની છે કે જે નેતાઓને જીતની જવાબદારી સોપવામાં આવી છે તે પોતાની વિધાનસભા કે લોકસભા પણ જીતી શક્યાં નથી. ત્યારે જોઈએ આ અહેવાલ.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂટણીઓમાં હાર અને વર્ષ 2019ની લોકસભા પણ હારને કારણે ડૂબી રહેલી કોંગ્રેસ તરવા માટે તણખલું શોધી રહી છે. કોંગ્રેસ સાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ જીતવા માટે અત્યારથી તૈયારી કરી રહી છે. કોંગ્રેસ આ બેઠકો જીતવા માંગે છે પણ કઇ રીતે અને કોના સહારે એ સવાલ છે, કાશ્મીરમાં તાજેતરમાં જ કલમ 370 દૂર થતાં ભાજપા તેનો મુદ્દો બનાવશે એ સ્વાભાવિક છે. વળી રાજ્યમાં ભાજપ સરકારમાં હોવાંથી તેનું પલ્લું ભારે પણ રહેવાનું. એવામાં કોંગ્રેસે ફરી તેના સિનિયર નેતાઓ પર વિશ્વાસ મૂકી તેમને સાત વિધાનસભા બેઠકો જીતવાની જવાબદારી સોંપી છે.
અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી, મઘુસૂદન મિસ્ત્રી અને શક્તિસિંહ ગોહિલ જેવાં વરિષ્ઠ અને જૂના જોગીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ કરમની કઠણાઈ એ છે કે, જે નેતાઓને વિધાનસભાની સાત બેઠકોની પેટાચૂંટણીની જીતની જવાબદારી સોપવામાં આવી છે તે નેતાઓ ગત ચૂંટણીઓમાં પોતાનો ગઢ પણ સાચવી શક્યાં નથી.
કાશ્મીરમાં તાજેતરમાં જ કલમ 370 દૂર થતાં ભાજપા તેનો મુદ્દો બનાવશે એ સ્વાભાવિક છે. વળી રાજ્યમાં ભાજપ સરકારમાં હોવાથી તેનું પલ્લું ભારે પણ રહેવાનું. એવામાં કોંગ્રેસે ફરી તેના સિનિયર નેતાઓ પર વિશ્વાસ મૂકી તેમને સાત વિધાનસભા બેઠકો જીતવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસનાં નેતાઓને બેઠક પ્રમાણે સોંપાયેલી જવાબદારીની વાત કરીએ તો રાધનપુર બેઠકની જવાબદારી અર્જુન મોઢવાડીયાને., થરાદ બેઠકની જવાબદારી સિધ્ધાર્થ પટેલને, ખેરાલુ બેઠકની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. તો લુણાવાડા બેઠકની જવાબદારી ભરતસિંહ સોલંકીને, મોરવાહડફ બેઠકની જવાબદારી તુષાર ચૌધરીને અને બાયડ બેઠકની જવાબદારી મધુસુદન મિસ્ત્રીને અને અમરાઇવાડી બેઠકની જવાબદારી દીપક બાબરીયાને સોંપવામાં આવી છે. કોંગ્રેસે આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં પૂરી તાકાતથી લડી લેવાનું મન બનાવી લીધું છે.
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પેટાચૂંટણીમાં પણ સંપૂર્ણ તાકાત લગાવવા માટે તૈયાર છે. તૈયારી રૂપે કોંગ્રેસના જે જે નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે તેમની નીચે પાંચ-પાંચ ધારાસભ્યોની ટીમ કામ કરશે. પરંતુ કોંગ્રેસે હારેલા નેતાઓને જવાબદારી સોંપીને જે રીતે જુગાર ખેલ્યો છે તેનાં પર આમ નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે.
કેમ કે, રાધનપુર બેઠકની જવાબદારીવાળા અર્જુન મોઢવાડીયા પોરબંદરથી 2012 અને 2017માં હાર્યા છે. તો થરાદ બેઠકની જવાબદારીવાળા સિદ્ધાર્થ પટેલ ડભોઇથી 2012 અને 2017માં હાર્યા છે. ખેરાલુ બેઠકની જવાબદારીવાળાં જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી 2014 અને 2017માં હાર્યા છે. તો લુણાવાડા બેઠકની જવાબદારીવાળા ભરતસિંહ સોલંકી આણંદ લોકસભાની બેઠક વર્ષ 2014માં અને 2019માં હાર્યા છે.
મોરવાહડફ બેઠકની જવાબદારીવાળાં તુષાર ચૌધરી બારડોલી લોકસભાની બેઠક 2014 અને 2019માં હાર્યા છે. તો બાયડની બેઠકની જવાબદારી વાળા મધુસુદન મિસ્ત્રી વડોદરા લોકસભા બેઠક પરથી વર્ષ 2014માં હાર્યા હતા તો અમરાઇવાડી બેઠકની જવાબદારીવાળાં દીપક બાબરીયા અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક વર્ષ 2009માં હાર્યા હતાં. આ સિવાય શક્તિસિંહ ગોહિલ પણ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી ભાવનગર ગ્રામ્યથી હારી ચૂક્યાં છે.
જવાબદારી
નેતા
હારેલી બેઠક/વર્ષ
રાધનપુર બેઠક
અર્જુન મોઢવાડીયા
પોરબંદર 2012-2017
થરાદ બેઠક
સિદ્ધાર્થ પટેલ
ડભોઇ 2012 - 2017
ખેરાલુ બેઠક
જગદીશ ઠાકોર
પાટણ 2014 - 2017
લુણાવાડા બેઠક
ભરતસિંહ સોલંકી
આણંદ 2014- 2019
મોરવાહડફ બેઠક
તુષાર ચૌધરી
બારડોલી 2014 - 2019
બાયડ બેઠક
મધુસુદન મિસ્ત્રી
વડોદરા 2014
અમરાઇવાડી બેઠક
દીપક બાબરીયા
અમદાવાદ પૂર્વ -2009
--------------
શક્તિસિંહ ગોહિલ
ભાવનગર ગ્રામ્ય 2012-2017
કોંગ્રેસ પાર્ટી પણ લોકસભા ચૂંટણીમાં હાર બાદ હારેલા નેતાઓને જ મોટી જવાબદારી સોંપીને જુગાર રમવાનો સંકેત આપી ચૂકી છે. આ તમામ નેતાઓનાં શીરે ગુજરાતમાં યોજાનારી સાત વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી છે ત્યારે જોવાનું એ છે કે હારેલા નેતાઓ કઇ રીતે જીતની દિશા તરફ દોરી જાય છે.