અરવલ્લીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તો ભૂસ્ખલન થતા શામળાજી નેશનલ હાઇવે થયો બ્લોક
અરવલ્લીની ગિરીમાળામાં ભૂસ્ખલન
શામાળાજી નેશનલ હાઈવે પર 20 કિ.મી.નો ટ્રાફિક જામ
નેશનલ હાઈવે બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમાં પણ ખાસ ઉત્તર ગુજરાતમાં તો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા, પાલનપુર સહિત ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આ વખતે હિમાચલ પ્રદેશમાં જોવા મળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગુજરાતના ઘણા જિલ્લાઓ ડુંગરાળ છે. ત્યારે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની.
અરવલ્લીમાં ભૂસ્ખલન
વાત છે અરવલ્લીની. અરવલ્લીની ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયુ હોવાનું સામે આવ્યું છે. મસમોટી ભેખડો ધસી પડતા શામળાજી નેશનલ હાઇવે પર 20 કિલોમીટરનો ટ્રાફિકજામ થયો છે. ચટ્ટાનો પડતા અનેક વાહનોને નુકસાન થયુ છે.
આવી ઘટના મોટા ભાગે હિમાચલમાં જોવા મળે છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી ત્યા અવારનવાર ભૂસ્ખલન થતુ રહે છે પરંતુ ગુજરાતના અરવલ્લીમાં વરસાદી સિઝનમાં આવી પહેલીવાર ઘટના બની. નેશનલ હાઇવે બ્લોક થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. વાહનોની મસમોટી લાઇનો જોવા મળી રહી છે. ચક્કજામ ટ્રાફિકને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
મેશ્વો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે આજે અરવલ્લી જિલ્લામાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. પરિણામે શામળાજી પાસે આવેલી મેશ્વો નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કોઝ વે પર તો નદીના પાણી ફરી વળ્યા છે. હાલ સાવચેતીના ભાગરૂપે શામળાજીથી બહેચરપુરા તરફનો કોઝ વે બંધ કરવાની ફરજ પડી છે.
સુનોખમાં 6 ઇંચ વરસાદ
તો આ તરફ અરવલ્લીના સુનોખમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઇ ગામમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનો પરેશાન થયા છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
શું છે હવામાન વિભાગની આગાહી ?
ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રીકાર થાય તેવા વરતારા હવામાન વિભાગે કર્યા છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 17 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જો કે 17 ઓગસ્ટ બાદ વરસાદ છુટોછવાયો પડી શકે જેથી બે વર્ષ બાદ સાતમ આઠમના મેળામાં વરસાદી વિધ્ન નહીં હોય તેવા સંકેત મળી રહ્યા છે.