રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ રાજ્યમાં 70 લોકો કોરોના પોઝિટિવ છે ત્યારે અમદાવાદ કલેક્ટર કે.કે.નિરાલાએ બે જાહેર નામા બહાર પાડ્યા છે. એક જાહેરનામુ મકાન માલિકો માટે અને બીજું હિજરત કરી રહેલા લોકોની વ્યવસ્થાને લઇને બહાર પાડવામાં આવ્યું છે.
લોકડાઉન દરમિયાન ભાડૂઆતને ઘર નહીં ખાલી કરાવી શકે મકાન માલિક
અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું
કલેક્ટરના જાહેરાનામા અનુસાર, અમદાવાદમાં મકાન માલિક લોકડાઉન દરમિયાન ભાડૂઆતને ઘર ખાલી નહીં કરાવી શકે અને જો મકાન માલિક ઘર ખાલી કરાવશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.
કલેક્ટરનું જાહેરનામું
આ ઉપરાંત હિજરત કરી રહેલા લોકોની પણ વ્યવસ્થા કરાઇ છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા મજૂરોની વ્યવસ્થા માલિકોએ કરવાની રહેશે. રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રક્શન સાઇટના માલિકની રહેશે. અને જો કોઇપણ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કલમ 135 મુજબ નેશનલ ડિઝાસ્ટ મેનેજમેન્ટના ગુના હેઠળ કાર્યવાહી કરાશે.
લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુઃ કલેક્ટર
કોરોનાએ કહેર મચાવતા લૉકડાઉનમાં પણ ઘર બહાર નીકળતા લોકો પર ગીર સોમનાથના કલેક્ટરે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, લોકો બહાર નીકળશે તો કડક કાર્યવાહી કરીશુ. ડોર 2 ડોર લોકોને ચેક કરવાની કામગીરી હાથ ધરાઇ. અન્ય રાજ્યોના શ્રમિકોને જિલ્લા બહાર જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
રાજ્યમાં કોરોનાના કુલ 70 કેસ
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સુરતમાં સાંજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 અને સુરતમાં 1 મળી 4 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કુલ 70 પોઝિટિવ કેસ નોંધાયા છે.