મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવ્યા બાદ રી સર્વેની અરજીની મુદતમા વધારો કરાયો છે.
જમીન રિ-સર્વે મામલે રાજય સરકાર એક્શનમાં
રિ-સર્વે અંગેની વાંધા અરજીઓનો ઝડપી નિકાલ કરવા ચર્ચા
જમીન રિ-સર્વે અંગે અરજી માટે સમયગાળો લંબાવાયો
ગુજરાતમાં જમીન રી સર્વે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જમીન રિ-સર્વે અંગે અરજી માટેના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. અને જમીનના રી સર્વે અંગેની વાંધા અરજીઓનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
મહેસુલ મંત્રી અને કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ
ગુજરાતમાં જમીન રી સર્વેની મામલે અનેક વખત ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ફરી જમીન રિ-સર્વે મામલે એક્શન મોડમાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં જમીન રી-સર્વેને કામગીરીને લઈ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કૃષિમંત્રી રઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.આ બેઠકમાં જમીન રી-સર્વેની કામીગીરીમાં ક્ષતિઓ બાબતે ખેડૂતોમાંથી ઉઠતી રાવ અંગે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી, આ બાબતે ખેડૂતોને કઇ કઇ રાહત આપી શકાય તે બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ જમીન રિ-સર્વે અંગે જે પણ ખેડૂતોને વાંધા અરજી હોય તો અરજી કરવાના સમયગાળો લંબાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નવી જાહેરાત બાદ હવે આગામી ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીઓ કરી શકાશે. એટલું જ નહી જમીન રિ-સર્વેની કામગીરી તાબડતોબ કરવા અને બને તેટલી ઝડપી પૂર્ણ કરવા પણ સબંધિત વિભાગના અધિકારીઓને સૂચન આપવામાં આવ્યા હતા. અને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવા પણ જણાવ્યું હતું.
અગાઉ પણ મુદત વધારાય હતી
ખેડૂતોની જમીનના સર્વે બાબતે અનેક વાર પ્રશ્ન ઉભો થયા છે. જે તે સમયે કૃષિમંત્રી રાઘવજી પટેલે રી સર્વે બાબતે રાજ્યના મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરી ખેડૂતોને રાહત અંગેની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જમીન સર્વે પત્રકાર પરિષદ યોજી હતી. રિ સર્વેની મુદ્દત વધુ એક વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ફરી રિ સર્વેની મુદ્દતમાં વધારો કરી આગામી ડિસેમ્બર માસ સુધીની કરી દેવામાં આવી છે.