પંચમહાલઃ રાજ્યમાં ACB દ્વારા જમીન વિકાસ નિગમની ઓફિસે પાડવામાં આવેલા દરોડા બાદ પંચમહાલ જિલ્લામાં પણ ખેત તલાવડીનું કૌભાંડ બહાર આવ્યું છે. ખેડૂતોની જાણ બહાર ખેત તલાવડી ફાળીવી દેવાતા 160 ખેડૂતોએ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પંચમહાલના શહેરા તાલુકામાં ખેત તલાવડી બનાવવાની યોજના અમલમાં છે પણ યોજનાના નાણા બરોબાર ચાંઉ થવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. એક ખેત તલાવડીના 87 હજાર લેખે 160 ખેડૂતોના 99 લાખ રૂપિયાનું આ કૌભાંડ ગુજરાત જમીન વિકાસ નિગમના અધિકારીઓએ આચર્યું હોવાના આક્ષેપ થયા છે.
કચેરીના મદદનીશ નિયામક કુશવાહ અને શહેરા તાલુકાના ફિલ્ડ સુપરવાઈઝર જે.કે. વણકર દ્વારા 99 લાખની ઉચાપત કરવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે ખેત તલાવડી બનાવવા માટે તેઓ દ્વારા કોઈ પણ જાતની અરજી આપવામાં આવી નથી. તો તેમની જાણ બહાર આ નાણા ચૂકવી દેવાયા હોવાની જાણ ટપાલ દ્વારા થઈ છે. જેથી હવે આ અંગે મોટુ કૌભાંડ આચરાયુ હોવાની શંકા પ્રબળ બનતા ખેડૂતોની અરજીના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.