ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી રદ કરી છે. લાલુ યાદવે સ્વાસ્થ્યના આધાર પર જેલમાંથી છૂટવાની માગણી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માગને ફગાવી દીધી છે. હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો લાલુ યાદવને જામીન મળ્યા હોત તો બિહારના રાજકારણમાં નવો વળાંક આવ્યો હોત.
1980ના દાયકા બાદ બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી હશે કે, જે લાલુ પ્રસાદ યાદવની હાજરી વગરની હશે. રાષ્ટ્રીય જનતા દળની કમાન તેમના હાથમાં છે, પરંતુ બંને દીકરાઓમાં જ પરસ્પર બની રહ્યું નથી. તેમના મોટા દીકરા તેજ પ્રતાપે રાજદની વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે અને લાલુ રાબડી મોર્ચા બનાવીને બે જગ્યાએથી ઉમેદવાર ઉતરવાની વાત કરી છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર હવે એનડીએમાં છે. રાજદ પાસે કોઇ એવા નેતા નથી કે, તેઓ ભાજપ અને જદયુને આ રીતે ઘેરી શકે જેવી રીતે લાલુ ઘેરે છે. તેમનો દીકરો તેજસ્વી મહેનત કરી રહ્યો છે, પરંતુ બિહારની જનતા લાલુના ભાષણોને મિસ કરી રહી છે. લાલુ સ્વાસ્થ્યના આધાર પર બહાર આવવા માગે છે, પરંતુ સીબીઆઇનું કહેવું છે કે, બહાર આવીને તેઓ રાજનીતિ કરશે અને તે દલીલના આધારે જ તેમને જામીન આપવામાં આવ્યા નથી.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે તેમની જામીન અરજી પર સુનાવણી કરી છે. લાલુપ્રસાદ યાદવ યુપીએની સરકારમાં રેલમંત્રી હતા. તેમણે બિહારના રાજકારણમાં અનેક ઉતારચઢાવ જોયા છે, પંરત આ વખતની ચૂંટણીમાં તેમને જેલમાં જ રહેવાનો આદેશ મળતા બિહારમાં રાજદને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.