લલ્લુજી એન્ડ સન્સના કૌભાંડો એક પછી એક બહાર આવતા અને આક્ષેપો થતાં આખરે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. આ અંગે VTV IMPACT જોવા મળી હતી. VTV દ્વારા સવાલો ઉઠાવાતા આખરે તપાસના આદેશ અપાયા છે. જાણો શું શું ગેરરીતિના છે આક્ષેપ અને લલ્લુજી એન્ડ સન્સ ગુજરાત સિવાય બીજે ક્યાં ક્યા આચર્યા છે કૌભાંડ?
લલ્લુભાઇ એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મામલો
રાજ્ય પ્રવાસન વિભાગે હાથ ધરી તાપસ
લલ્લુભાઇ એન્ડ સન્સ કંપનીના તમામ કામોની તપાસ થશે
લલ્લુભાઈ એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મામલે તપાસ
લલ્લુભાઇ એન્ડ સન્સ કંપનીની ગેરરીતિ મામલે હવે રાજ્ય પ્રવાસન વિભાગે તપાસ હાથ ધરી છે. લલ્લુભાઇ એન્ડ સન્સ કંપનીના તમામ કામોની તપાસ થશે અને જો તપાસમાં ગેરરીતે સામે આવે તો કંપની બ્લેકલિસ્ટ થશે. કંપનીને મળેલા ટેન્ડર પ્રમાણે કામ ન થયા હોય તો પણ યોગ્ય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેન્ડરની જોગવાઈ પ્રમાણે ચીજવસ્તુ વાપરવામાં નહીં આવી હોય તો પણ આ અંગે યોગ્ય પગલા લેવાશે.
ગુજરાત સરકાર કેમ તપાસ કરતી નથી?
ટેન્ટસિટી કૌભાંડ આચરનાર કંપની પર ગુજરાત સરકારના ચાર હાથ હોય તેવું દેખાઈ રહ્યું છે. લલ્લૂજી એન્ડ સન્સ પાસે ગુજરાતના કેટલાય પ્રવાસન સ્થળોના કોન્ટ્રાક્ટ છે અને કંપની કૌભાંડ આચરતી હોવાનું બહાર આવ્યું હોવા છતાં સરકાર તો જાણે કંપની મહેરબાન હોય તેવું દેખાઈ રહ્યું છે.
કૌભાંડ આચરનાર કંપની પર સરકારના ચાર હાથ
લલ્લૂજી એન્ડ સન્સનો આખો ખેલ ઉત્તરપ્રદેશથી સામે આવ્યો છે જ્યાં યુપી સરકારે આ કંપની સામે કાર્યવાહી શરુ કરી છે. કંપનીએ યુપીના કુંભના મેળામાં કરોડો રૂપિયાના ખોટા બિલ રજૂ કર્યા હતા ત્યારે ગુજરાતના પ્રવાસન સ્થળોમાં પણ આ કંપનીનું સામ્રાજ્ય છે. કચ્છથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ જ કંપની પાસે બધા કોન્ટ્રાક્ટ છે.
SOU પાસે ટેન્ટસિટી બનાવવા 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી !
સરકાર આ કંપની પર એટલી વધી મહેરબાન થઇ ગઈ છે કે SOU પાસે ટેન્ટસિટી બનાવવા 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી દેવામાં આવી હોવાના આક્ષેપ સામે આવી રહ્યા છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવામાં આવ્યું છે ત્યારે આ કંપની પ્રવાસીઓના ખીસ્સા ખંખેરવાનું કામ કરી રહી છે. સરકારની રહેમ નજર હેઠળ કંપની ઉઘાડી લૂંટ ચલાવી રહી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ થયો હતો.
લલ્લુજી એન્ડ સન્સે ગુજરાત યુનિવર્સિટીને નથી ચૂકવ્યું ભાડું
કોરોના મહામારીનો લાભ મેળવવા લલ્લુજી એન્ડ સન્સનું વધુ એક કાવતરું સામે આવ્યું હતુ. કૌભાંડી કંપની લલ્લુજી એન્ડ સન્સે 6 મહિનાથી ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી કન્વેન્શન હોલનું 6 કરોડનું ભાડું નથી ચૂકવ્યું. કંપનીએ ગુજરાત યુનિવર્સિટીના VCને ભાડા માફી માટે પત્ર લખ્યો છે. લલ્લુજી એન્ડ સન્સ યુનિવર્સિટીના મેદાનનો પણ ઉપયોગ કરે છે. સામાન સ્ટોરેજ માટે મેદાનનો પણ કોઇ રોકટોક વિના ઉપયોગ થાય છે. ત્યારે કરોડોની કમાણી છતાં લલ્લુજી એન્ડ સન્સને ભાડા માફી જોઇએ છે.
સળગતા સવાલ :
કૌભાંડ સામે આવ્યા બાદ પણ લલ્લૂજી એન્ડ સન્સ સામે કોઇ કાર્યવાહી નહીં?
લલ્લૂજી સન્સ સામે ગુજરાત સરકાર કેમ તપાસ કરતી નથી?
રાજ્યમાં લલ્લૂજી એન્ડ સન્સને કેમ બ્લેકલીસ્ટ કરાતી નથી?
આવી કંપનીને રાજ્ય સરકાર કોના ઇશારે છાવરી રહી છે?
રાજ્ય સરકાર અને લલ્લૂજી સન્સ વચ્ચે કોઇ સાંઠગાંઠ ચાલી રહી છે?
અધિકારીઓ કેમ લલ્લૂજી સન્સ કંપની પર મહેરબાન છે?
લોકો પાસેથી જમીન લઇ લલ્લૂજી સન્સને કેમ પધરાવી દેવાય છે?
લલ્લૂજી એન્ડ સન્સના ચૂકવણા અંગે કેમ તપાસ કરવામાં આવતી નથી?
વધારે પ્રવાસીઓ આવે તેવા સ્થળો પર લલ્લૂજી એન્ડ સન્સને કોન્ટ્રાક્ટ કેમ?
ઉત્તરપ્રદેશમાં કંપની થઇ બ્લેકલિસ્ટ
લલ્લૂજી એન્ડ સન્સની ઉત્તરપ્રદેશ સરકારના સરકારી નાણાં ઉચાપત કરવાને મામલે મુશ્કેલીઓ વધી છે. ગત વર્ષે થયેલા કુંભ મેળામાં ટેન્ટ સિટીના કોન્ટ્રાક્ટ દરમ્યાન આપેલી સુવિધામાં 109 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ યુપી સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે. અધિકારી દયાનંદ પ્રસાદે મેસર્સ લલ્લૂજી એન્ડ સન્સ સહિત 11 વિરૂદ્ધ ઉત્તર પ્રદેશના દારાગંજ પોલીસ સ્ટેશનમાં 109 કરોડ રૂપિયા બિલ તૈયારી કરીને ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. આ હાઈપ્રોફાઇલ કેસની પોલીસ તપાસ કરી રહી છે અને દારાગંજ ઇન્સ્પેક્ટરને કરોડો રૂપિયાના આ ભ્રષ્ટાચારની તપાસ સોંપવામાં આવી છે. પ્રયાગરાજ કુંભમેળા સમિતિએ પાંચ વર્ષ માટે લલ્લૂજી એન્ડ સન્સને બ્લેકલિસ્ટ કરી છે, ત્યારે આ બ્લેકલિસ્ટની કાર્યવાહી અયોગ્ય હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
કોની કોની સામે થઈ ફરિયાદ?
કુંભ મેળા અધિકારી દયાનંદ પ્રસાદ તરફથી શુક્રવાર રાત્રે કરોડો રૂપિયાના નકલી બિલ વાઉચર બનાવવાના આરોપમાં મેમર્સ લલ્લૂજી એન્ડ સન્સ સિવાય નવી દિલ્હીના રમેશ કુમાર અગ્રવાલ, પ્રયાગરાજના જગદીશ કુમાર અગ્રવાલ, વિનોદ કુમાર અગ્રવાલ, લખનૌના સુનીલ અગ્રવાલ, નવી દિલ્હીના વિપુલ અગ્રવાલ, મુકુલ અગ્રવાલ અને રામબાગના હિમાશું અગ્રવાલ, નિખિલ અગ્રવાલ, ઉપાંશુ કુમાર અને દીપાંશુ કુમાર અગ્રવાલ વિરૂદ્ધ દારાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. IPCની કલમ 403, 419, 420, 467, 471 અને 120 B હેઠલ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ ફરિયાદ બાદ ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.આરોપ છે કે, કુંભ 2019 દરમિયાન ટેન્ટ, ટીન, ફર્નીચર સહતિ ભાડા પર લેવામાં આવ્યું હતું. આના માટે એક કરાર પણ થયો હતો. તેમ છતા ભ્રષ્ટાચાર કરીને તેમણે સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના પ્રયત્નો કર્યા છે.
કેવી રીતે પકડાયું કૌભાંડ?
લલ્લૂજી અને સન્સ કંપનીએ કુંભમેળા સમિતિ પાસેથી આયોજન પેટે કુલ 171 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લીધુ હતું. બાદમાં ફાઈનલ હિસાબ સમયે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કુંભમેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
FIR અનુસાર, કુંભ મેળા 2019માં સરકાર તરફથી મંજુર બજેટથી એજન્સી તરફથી અલગ અલગ વિભાગોને પોતાના જરૂરી સેવાઓ માટે કુલ 171 કરોડ રૂપિયા પેમેન્ટ મેળવ્યું હતું. ત્યારબાદ પણ 109.85 કરોડનું વધુ પેમેન્ટ મેળવવા માટે કોડ બનાવટ એજન્સી અને ભાગીદારો તરફથી મળીને કરવામાં આવી છે. શરૂઆતી તપાસમાં જણાયું હતું કે 86 કરોડના બિલ બરાબર હતા, પરંતુ 109 કરોડના વાઉચર અને બિલ નકલી હતા. ટેન્ટની સર્વિસના ખોટા બિલ રજૂ કરીને કંપનીએ પેમેન્ટની માગણી કરી હતી.