ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો ખરાબ રીતે હારતા કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. બીજી તરફ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે કોંગ્રેસની હાર મામલે લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે.
લલિત વસોયાએ કહ્યું કે સમગ્ર ભારતમાં કોંગ્રેસની હાર થઇ છે. હારની જવાબદારી અમે સહયારી સ્વીકારીએ છીએ. લલિત વસોયાએ ધાનાણીના રાજીનામાના પ્રસ્તાવ મામલે કહ્યું કે અમે 77 ધારાસભ્યો ધાનાણીને સમજાવીશું.
અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાનો પ્રસ્તાવ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. બન્નેએ કારમી હારની જવાબદારી સ્વીકારીને રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે નવા ચહેરાના સ્થાન આપવા પક્ષ સમક્ષ રજૂઆત કરી છે.
હારની સમીક્ષા માટે પ્રદેશ કોંગ્રેસની આવતીકાલે બેઠક
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે ત્યારે તેની સમીક્ષા કરવા માટે આવતીકાલે બેઠક યોજાશે. પ્રદેશ કાર્યલય ખાતે કોંગ્રેસ કોર્ડિનેશન કમિટીની આ બેઠકમાં કેમ હાર થઈ તે અંગે મનોમંથન કરાશે. તો પેટાચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપવુ કે કેમ તે અંગે પણ ચર્ચા થશે.
સોશિયલ મીડિયા પર નવી લીડરશિપ અંગે ઉઠી માંગ
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષના રાજીનામાની અટકળોએ જોર પકડ્યુ છે. ત્યારે આ અટકળોની વચ્ચે નવા અધ્યક્ષ માટે લોબિંગ શરૂ કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર નવી લીડરશિપ અંગે માંગ ઉઠી છે. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવા નેતાને ગુજરાતની કમાન સોંપવા સોશિયલ મીડિયા પર મુહિમ ચલાવી છે. આ મુહિમમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માગ કરાઈ છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ટેગ કરીને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે.