ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં હાલ પક્ષપલ્ટાની મોસમ ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 MLAs ભાજપમાં જોડાશે એવી ચર્ચા મામલે લલિત કગથરાનું નિવેદન.
ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી: કગથરા
લલિત વસોયા કોંગ્રેસ સાથે જ છે અને રહેશે: કગથરા
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવવા મામલે કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, 'અત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલી રહી છે. જે માત્ર અફવા છે. એક તરફ ભાજપ કહે છે કે, હવે અમે કોઈને લેશું નહીં અને બીજી તરફ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપે છે. ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી. અત્યારે ભાજપમાં 70 ટકા લોકો કોંગ્રેસના છે. જેના કારણે ભાજપના કાર્યકરો ગૂંગળામણ અનુભવે છે.'
લલિત વસોયા ક્યાંય જવાના નથી: લલિત કગથરા
વધુમાં તેમણે લલિત વસોયા અંગે પણ નિવેદન આપતા કહ્યું કે, 'લલિત વસોયા ક્યાંય જવાના નથી. લલિત વસોયા કોંગ્રેસ સાથે જ છે.'
ભાજપ કહે છે કે હવે કોઈને લઈશું નહીં અને બીજી તરફ સૌરાષ્ટ્રના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલે છે, ભાજપના કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી: કોંગ્રેસ ધારાસભ્ય લલીત કગથરા#BJP#Lalitkagathara
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 10, 2022
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે. તારીખ 17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક MLAs (ધારાસભ્યો) કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ ખેડવવા ભાજપની વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે. આથી સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચા મામલે લલિત કગથરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં લલિત કગથરાએ કહ્યું કે, 'સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી ચર્ચા ચાલી રહી છે. જે માત્ર અફવા છે.'
17 ઓગસ્ટના રોજ નરેશ રાવલ અને રાજુ પરમાર કરશે કેસરિયા
મહત્વનું છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ (Congress) સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર 17 ઓગસ્ટે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. આ બંને નેતાઓએ તાજેતરમાં જ દિલ્હીમાં PM મોદી સાથે તેમજ ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.