Lal Darwaja AMTS Terminus News: AMTS તંત્ર માટે લાલ દરવાજા ટર્મિનસ એ ખૂબ અગત્યનું ટર્મિનસ. એક અંદાજ મુજબ રોજના સવા બે લાખ પેસેન્જર્સની લાલ દરવાજા ટર્મિનસથી થાય છે અવરજવર
AMTS તંત્ર માટે લાલ દરવાજા ટર્મિનસ એ ખૂબ અગત્યનું ટર્મિનસ
હેરિટેજ લુક સાથે લાલ દરવાજા AMTS ટર્મિનસના જૂનના શ્રીગણેશ
લાલ દરવાજા ટર્મિનસ પરથી રોજના સવા બે લાખ પેસેન્જર્સની અવરજવર
છેલ્લાં પોણા બે વર્ષથી AMTSના સત્તાવાળાઓ દ્વારા શહેરના સૌથી પ્રસિદ્ધ અને લાખો પેસેન્જર્સની અવરજવરથી ધમધમતા લાલ દરવાજા ટર્મિનસને નવીન રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર ટર્મિનસને હેરિટેજ પ્રકારનું સ્થાપત્ય ધરાવતું નવું કલેવર અપાઈ રહ્યું છે. હવે આ પ્રોજેક્ટ લગભગ પૂર્ણતાના આરે આવી ચૂક્યો હોઈ તેનું જૂનના પહેલા અઠવાડિયામાં લોકાર્પણ કરવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે એટલે કે લાખો પેસેન્જર્સને નવા લાલ દરવાજા ટર્મિનસનો લાભ મેળવવા માટે માત્ર મહિના-સવા મહિનાની રાહ જોવી પડશે.
AMTSના ચેરમેન વલ્લભ પટેલ કહે છે કે, 11,583,24 ચોરસમીટર પ્લોટ એરિયા ધરાવતા લાલ દરવાજા ટર્મિનસનો બાંધકામનો એરિયા 2,588,30 ચોરસમીટરનો છે. હેરિટેજ લૂક સાથે ઓફિસ બિલ્ડિંગ તથા બસસ્ટેન્ડની એક્સ્ટ્રા આઇટમ સાથેનો રિવાઇઝ્ડ ટેન્ડરનો ખર્ચ રૂ. 8,88,02,819 નો છે. આ કામની સમયમર્યાદા 15 જૂન, 2023સુધીની હોઈ અમારી ગણતરી મુજબ જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં તેને લોકો માટે ખુલ્લું મુકાશે.
હેરિટેજ લૂક ધરાવતા ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નં.1 ઉપર બંધાઈ રહ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આસિસ્ટન્ટ મેનેજર ઓફિસ, કેબિન ઇન્સ્પેક્ટર ઓફિસ, એક્સિડેન્ટ ઇન્સ્પેક્ટર ઓફિસ, બુકિંગ ઓફિસ, ઇન્કવાયરી ઓફિસ, પીવાના પાણીની સુવિધા, પેસેન્જર્સની ફરિયાદના નિકાલ માટે અલગ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવાથી પેસેન્જર્સને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર રહેશે નહીં તેમ જણાવ્યું હતું.
AMTSના ચેરમેન વલ્લભ પટેલ વધુમાં કહે છે, ટર્મિનસના પહેલા માળે કેશ કલેક્શન કેબિન, મિટિંગ હોલ, ડિરેક્ટર ઓફ ટ્રાફિકની ઓફિસ, વીઆઇપી વેઇટિંગરૂમ, ઈલેક્ટ્રિક કેબિન અને ટિકિટ મશીનરૂમ બંધાઈ રહ્યા છે. પ્લેટફોર્મ નં. 1થી 7 પર બેઠક વ્યવસ્થા સાથે પાઇપ ફેબ્રિકેશન ઉપર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાઈ રહ્યાં હોઈ તેનું મોટા ભાગનું કામ આટોપાઈ ગયું છે. અંધ, અપંગ અને શારીરિક ખોડખાંપણવાળા મુસાફરોની સગવડતા માટેની અલગ વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. દરેક પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરાનો લાભ પેસેન્જરને મળશે. ઉપરાંત પેસેન્જર્સની સુવિધા માટે દરેક પ્લેટફોર્મ ઉપર બસના રૂટ અને સમયપત્રક માટેની માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઇન્ફર્મેશન સિસ્ટમ ગોઠવાઈ રહી છે.
દરેક પ્લેટફોર્મ પરની આધુનિક કંટ્રોલ કેબિન તમામ બસનું કંટ્રોલિંગ કરશે તેમજ પેસેન્જર્સને જે તે રૂટની માહિતી આપશે. ઉપરાંત દરેક પ્લેટફોર્મ પર બસની એન્ટ્રીમાં તેની ગતિ ધીમી પડે તે માટે સ્પીડ બ્રેકર લગાવાયા છે, જેનાથી અકસ્માતોને નિવારી શકાશે. ટર્મિનસમાં હાલના ડામર રોડની જગ્યાએ આરસીસી રોડ તથા ડ્રેનેજની સુવિધા ઊભી કરાઈ છે. ટર્મિનસનું સમગ્ર બાંધકામ હેરિટેજ થીમ પર બનાવાયું છે. આ કામના કોન્ટ્રાક્ટર શ્રીજી કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ જાગ ડિઝાઇનર પ્રા. લિ. છે. કન્સલ્ટન્ટને ગત તા. 3 જુલાઈ, 2017એ વર્કઓર્ડર અપાયો હતો, જે હેઠળ પ્રોજેક્ટની 0.58 ટકા ફી કન્સલ્ટન્ટને ચૂકવાશે. અન્ય ટેકનિકલ બાબતો તપાસતાં બિલ્ડિંગનો એરિયા 730.55 ચોરસમીટર, પ્લેટફોર્મના શેડનો એરિયા 1,857,75 ચોરસમીટર હોઈ સમગ્ર પ્રોજેક્ટને સ્વર્ણિમ પ્રોજેક્ટના બજેટ હેડ હેઠળ તૈયાર કરાઈ રહ્યો છે.
આ દરમિયાન AMTSના ચેરમેન પટેલ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે તમામ બસસ્ટેન્ડ થઈ ગયાં છે, આરસીસીના રોડ પણ બની ગયા છે અને હેરિટેજનું નાનું-મોટું કામ એટલે કે પથ્થર વગેરે લગાવવાના કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. એટલે અમારી ગણતરી છે કે, એકાદ મહિનામાં લાલ દરવાજા ટર્મિનસનો હેરિટેજ લૂક શહેરના લાખો પેસેન્જર્સને આકર્ષિત કરશે.
લાલ દરવાજા ટર્મિનસ પરથી રોજના સવા બે લાખ પેસેન્જર્સની અવરજવર
AMTS તંત્ર માટે લાલ દરવાજા ટર્મિનસ એ ખૂબ અગત્યનું ટર્મિનસ છે. આ ટર્મિનસ સતત પેસેન્જર્સની અવરજવરથી ધમધમતું રહ્યું છે. એક અંદાજ મુજબ રોજના સવા બે લાખ પેસેન્જર્સની અવરજવર લાલ દરવાજા ટર્મિનસથી થાય છે. લાલ દરવાજા ટર્મિનસ પરથી 39 બસ રૂટ ઓપરેટ થાય છે અને કુલ 118 બસની અવરજવર થાય છે, જે પૈકી ટર્મિનસથી પસાર થતા રૂટની સંખ્યા 13 છે અને ટર્મિનસથી પસાર થતી બસની સંખ્યા 83 છે.