ફાગણી સુદ પૂનમને લઇને ડાકોર અને શામળાજીમાં ભક્તોનું ઉમટ્યુ ઘોડાપુર, બે વર્ષ બાદ મંદિરમાં જોવા મળ્યો હોળીનો માહોલ
ફાગણી સુદ પૂનમને લઇને ભક્તોનું ઘોડાપુર
ગુલાલથી રંગમય બન્યુ રણછોડરાયનું મંદિર
શામળાજીમાં કાળીયા ઠાકોરનો મનમોહક શૃંગાર
હિંદુ સંસ્કૃતિએ તહેવારોની સંસ્કૃતિ છે. મહાશિવરાત્રિ બાદ આવતો અનેરો ઉત્સવ એટલે ફાગણી સુદ પૂનમ. એટેલે કે હોળી. અસુરી તત્વોનો નાશ કરીને દૈવી શ્કતિઓના વિજયનો પર્વ એટલે હોળી. હોલિકા દહન કરીને આ દિવેસે ભક્ત પ્રહલાદે જેમ અસુરી તત્વોનો નાશ કર્યો હતો તેવી જ રીતે આપણા જીવનમાંથી પણ અસુરી તત્વોનો નાશ અને રંગોની જેમ આપણું જીવન પણ રંગીન બને. ત્યારે આ ખાસ અવસર પર ઠાકોરજીના દર્શન કરવા ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો.
ડાકોરમાં જય રણછોડ...માખણ ચોર
ફાગણી પૂનમના ખાસ અવસરે પગપાળા નીકળેલા યાત્રીઓ રણછોડ રાયના દર્શન કરીને ધન્ય બન્યા છે. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. મંદિરતો આખુ ગુલાલની છોળોથી રંગાઇ ગયેલુ જોવા મળ્યો. ભક્તો ભગવાન સાથે હોળી રમવા માટે ગુલાલની છોળ ઉડાડીને હોળી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા. ભક્તોનો ધસારો જોતા આજે મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે. ભગવાનને આ દિવસે હાથમાં સોનાની પિચકારી આપવામાં આવે છે. દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો કૃષ્ણમય બન્યા છે.
શામળાજીમાં વહેલી સવારથી જ લાઇનો
અરવલ્લીના શામળાજી યાત્રા ધામ ખાતે પણ ભક્તોનો વહેલી સવારથી ધસારો જોવા મળી રહ્યો છે. શામળિયાને સફેદ વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો છે. કાળિયા ઠાકોરના આ મનમોહક સ્વરુપના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. બે વર્ષ બાદ આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કોરોનાને કારણે મોટાભાગના યાત્રાધામો બંધ રહેતા ભક્તો ભગવાનથી જાણે વિખૂટા પડી ગયા હતા. પરંતુ અત્યારના દ્રશ્યો જોઇને એમ થાય કે ફરી એકવાર ભગવાન અને ભક્તોનો આ અતૂટ પ્રેમ જોવા મળ્યો હતો. જેને કારણે ભક્તોમાં પણ સ્નેહની લાગણી જોવા મળી હતી..