લખીમપુર હિંસા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પીએમ મોદી અને અમિત શાહે પોતાના સ્તર પર આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લખીમપુર હિંસા મામલે મોટા સમાચાર
પીએમ મોદી અને અમિત શાહ થયા એક્ટિવ
બીજી તરફ યોગી સરકાર પડી નરમ
કેન્દ્રમાં પીએમ મોદી અને અમિત શાહ એક્શનમાં આવ્યા
લખીમપુર હિંસા મામલે ગૃહ મંત્રી અમિત શાહ અને પીએમ મોદી હવે એક્શન મોડમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં લખીમપુરની ઘટના બાદથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ખાસ કરીને યુપીમાં પરિસ્થિતિ તનાવપૂર્ણ છે. એવામાં ખેડૂત રાજનીતિને લઈને સરકાર દબાણમાં આવી છે તથા કેન્દ્રનાં જ મોટા મંત્રીના દીકરા પર ખેડૂતોની હત્યાનો આરોપ લાગવાથી સરકાર પર પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.
પીએમ મોદીએ ઘુમાવ્યો ફોન
લખીમપુર હિંસા મામલે યુપી સીએમ યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી મોદી સાથે વિસ્તારથી ચર્ચા કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સીએમ યોગીએ આજે ફોન પર પ્રધાનમંત્રી મોદીને સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી છે. નોંધનીય છે કે ગઇકાલે જ પીએમ મોદી લખનૌનાં પ્રવાસ પર પહોંચ્યા હતા અને તે સમયે પણ યોગી આદિત્યનાથ સાથે વાત કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે આજે ફરીથી આ ઘટના મામલે યોગીએ પીએમ મોદી સાથે વાતચીત કરી છે.
અમિત શાહે કરી બેઠક
બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રાલય આ સમગ્ર મામલે ખૂબ નજીકથી મામલો જોઈ રહ્યા છે ત્યારે આજે જ ગૃહમંત્રીએ ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા સાથે બેઠક પણ કરી છે. નોંધનીય છે કે ખેડૂત સંગઠનોનો આરોપ છે કે અજય મિશ્રાનાં દીકરા આશિષ મિશ્રાએ જ ખેડૂત પર ગાડી ચઢાવીને કચડી માર્યા હતા. એવામાં કેન્દ્ર સરકાર હવે આ મામલે કોઈ મોટા એક્શન પણ લઈ શકે છે.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે લખીમપુરમાં એક ઘટનામાં નવ લોકોની મોત હતી જેમા ખેડૂતોનો આરોપ છે કે ભાજપ નેતાના દીકરાની ગાડી જાણીજોઇને ખેડૂત પર ચઢાવી દેવામાં આવી હતી. જોકે ભાજપ નેતાઓ સફાઇ આપી રહ્યા છે કે પહેલા ખેડૂતો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે બાદ ગાડીમાં સવાર લોકોને કાઢીને તમામને મારી નાંખવામાં આવ્યા હતા.
બીજી તરફ આ મામલે રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ પણ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ પણ નેતાને લખીમપુર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી પરંતુ આજે જ યોગી સરકાર નરમ પણ પડી અને તમામને હવે ત્યાં જવાની પરવાનગી આપી દેવામાં આવી છે.