લખીમપુર ખીરી કાંડનો મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની હજુ સુધી અકડ ઢીલી પડી નથી.
લખીમપુરના આરોપી આશિષ મિશ્રાની અકડ હજુ ઢીલી થઈ નથી
કોર્ટમાં જતી વેળાએ મૂંછો પર તાવ દેતો નજર ચડ્યો
ઘટનાનો વીડિયો વાયરલ
યુપીના લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચડાવીને તેમની હત્યા કરવાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા કે જે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે, તેને હજુ સુધી તેના પાપનો પસ્તાવો નથી અને ખુલ્લેઆમ અશોભનીય હરકત કરી રહ્યો છે. મંગળવારે લખીમપુર કોર્ટમાં લઈ જતી વખતે આશિષ મિશ્રાએ જે કર્યું તે ખરેખર ખેદજનક છે.
લખીમપુર ખેરી હિંસા કેસમાં મંગળવારે આરોપો નક્કી થવાના છે, જેમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આશિષ મિશ્રાએ મીડિયાના કેમેરા સામે વારંવાર પોતાની મૂંછો આમળતો જોવા મળ્યો હતો. જાણે કે મનોમન કહેતો હોય કે કોઈ મારુ શું બગાડી લેવાનું છે. મંગળવારે પોલીસ આશિષ મિશ્રાને જેલમાંથી સેશન્સ કોર્ટ લઈ જઈ હતી. આ સમય દરમિયાન તે પોલીસની ગાડીમાંથી ઉતરીને કોર્ટ પરિસરમાં ઘૂસીને વારંવાર પોતાની મૂછો આમળતો જોવા મળ્યો હતો. તેની ચાલમાં એક અજીબ પ્રકારનો રુઆબ હતો.
આશિષ મિશ્રાએ ખેડૂતોને ધમકી ન આપી હોત તો લખીમપુર કાંડ ન થયો હોત-અલ્હાબાદ હાઈકોર્ટ
લખિમપુર ખેરી હિંસા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે સોમવારે તીખી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને ધમકી આપતું કથિત નિવેદન ન આપ્યું હોત તો કદાચ લખીમપુર ખેરીની ઘટના ન બની હોત. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની બેન્ચે હિંસાના ચાર આરોપી અંકિત દાસ, લવકુશ, સુમિત જયસ્વાલ અને શિશુપાલની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, ઉચ્ચ હોદ્દા પર રહેલા રાજકીય વ્યક્તિઓએ સભ્ય રીતે જાહેર નિવેદનો કરવા જોઈએ અને તેના પરિણામ વિશે વિચારવું જોઈએ.જણાવી દઈએ કે આ કેસમાં જેલમાં બંધ આશીષ મિશ્રાને ફેબ્રુઆરીમાં જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે આશિષ મિશ્રાના જામીન ફગાવી દીધા હતા અને તેણે કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું હતું.
વીડિયો જોઈને લોકો ભડક્યા
મૂછો પર તાવ દેતાનો આશિષ મિશ્રાનો આ વીડિયો વાયરલ થયો છે અને તે જોઈને લોકો બરાબરના ભડક્યાં હતા. લોકોએ કહ્યું કે મંત્રીપુત્રની હજુ સુધી ટેણી ન ગઈ.