કોર્પોરેશનના અત્યાર સુધીના ઇતિહાસમાં અમદાવાદમાં 1 લાખથી વધુ મિલકતોને સીલ કરાઈ છે. જેને લઈને ટેક્સ સીલિંગ ઝુંબેશે ડીફોલ્ટર્સને દોડતા કરી દીધા છે.
બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ
AMCએ સપાટો બોલાવતા ડિફોલ્ટરોમાં ફફડાટ
ન ભૂતો ન ભવિષ્યતિઃ બાકી ટેક્સ મુદ્દે વિક્રમી એક લાખથી વધુ મિલકતો સીલ
ઓક્ટ્રોય નાબૂદી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ રહ્યો છે. તંત્ર દ્વારા હાથ ધરાતાં રોજેરોજનાં લોકોની પ્રાથમિક સુખાકારીનાં કામ કહો કે પછી નીતનવા વિકાસના પ્રોજેક્ટ ગણો, પણ આ તમામ કામો માટે નાણાંની વ્યવસ્થા મહદંશે પ્રોપર્ટી ટેક્સની આવકથી થતી રહી છે. એટલે તંત્ર આ આવકમાં વૃદ્ધિ કરવા માટે હરહંમેશ ગંભીર હોય છે. ભાજપના શાસકોએ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વાર ૧૦૦ ટકા વ્યાજમાફીની જાહેરાત કરીને વધુ ને વધુ નાણાં ઊભાં કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. આની સાથે ડિફોલ્ટર સામે સતત આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની સીધી સૂચનાથી શહેરભરમાં ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારવાની ઝુંબેશ તેજ રફતારથી ચાલી રહી છે, જેના કારણે ન ભૂતિ ન ભવિષ્યતિની જેમ અત્યાર સુધીમાં એક લાખથી વધુ એટલે કે ૧,૦૬,૯૨૬ એકમને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે.
ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ
બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશની મ્યુનિ. કોર્પોરેશનમાં નવાઈ નથી. સામાન્ય રીતે માર્ચ એન્ડિંગના દિવસોમાં તંત્ર ડિફોલ્ટર્સ સામે આકરાં પગલાં લેતું આવ્યું છે. બાકી કરદાતાઓ પણ આ અભિયાનના કારણે માર્ચ એન્ડિંગના દિવસોમાં ટેક્સ ભરપાઈ કરવા માટે આગળ આવતા હોય છે. આ જાણે કે એક પ્રકારની નિત્ય નિયમ મુજબની કવાયત થઈ ગઈ હતી. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે શહેરમાં હવે મેગા ઝુંબેશ ચાલી રહી છે. છેલ્લા પાંચ શુક્રવારથી આ ઝુંબેશ બળવત્તર બની છે. શુક્રવાર એટલે કે પ્રોપર્ટી ટેક્સ વસૂલાતની ટ્રિગર ઈવેન્ટ તેવું જ જાણે કે થયું છે. દર શુક્રવારે ટેક્સ વિભાગના તમામ અધિકારીઓ ફિલ્ડમાં ઊતરીને ખૂબ મોટા પ્રમાણમાં ડિફોલ્ટર્સની મિલકતને સીલ લગાવી રહ્યા છે. છેલ્લા શુક્રવારે એટલે કે ૧૭ માર્ચે તંત્રએ અધધ એટલે કે ૨૬,૫૩૦ કોમર્શિયલ મિલકતને એક જ દિવસે તંત્રનાં ખંભાતી તાળાં લગાવીને ડિફોલ્ટર્સમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો.
પ્રોપર્ટી ટેક્સ વિભાગ તરફથી મળેલા સીલિંગને લગતા સત્તાવાર રિપોર્ટમાં દર્શાવાયું છે કે ગત ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩થી શુક્રવારની મેગા સીલિંગ ઝુંબેશ તંત્રએ હાથ ધરી હતી. તે દિવસે સત્તાવાળાઓએ કુલ ૪૫૬૪ મિલકતને તાળાં માર્યાં હતાં. ત્યાર બાદના શુક્રવારે એટલે કે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે સીલની સંખ્યા વધીને ૮૭૦૪ થઈ હતી.ચાલુ માર્ચ મહિનાની શરૂઆતના પહેલા શુક્રવારે એટલે કે તા. ૩ માર્ચના રોજ તંત્રે ૨૧,૭૬૬ મિલકતને સીલ કરીને ડિફોલ્ટર્સને દોડતા કરી દીધા હતા. ત્યાર પછીના શુક્રવારે એટલે કે તા. ૧૦ માર્ચે કુલ ૧૪,૧૧૮ મિલકતને સીલ કરાઈ હતી.
૪૯૭૩ મિલકતને સીલ માર્યાં
તા. ૧ એપ્રિલથી ૨૭ ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં તંત્રએ કુલ ૪૯૭૩ મિલકતને સીલ માર્યાં હતાં, જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૩૮, પશ્ચિમ ઝોનમાં ૫૪૪, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭૫૧, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૯૭૫, મધ્ય ઝોનમાં ૬૯૪, ઉત્તર ઝોનમાં ૪૨૨ અને દક્ષિણ ઝોનમાં ૬૪૯ મિલકતને તંત્રએ સીલ માર્યાં હતાં, પરંતુ તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨થી તંત્રની સીલિંગ ઝુંબેશે ધીમે ધીમે ભારે વેગ પકડવા લીધો હતો અને દરરોજની આશરે ૨૦૦થી ૫૦૦ મિલકતને તાળાં મરાયાં હતાં.શહેરમાં ચાલતી આક્રમક સીલિંગ ઝુંબેશના કારણે પૂર્વ ઝોનમાં સૌથી વધુ એટલે કે ૨૮,૯૧૬ મિલકતને તંત્રએ તાળાં મારી દેતા ડિફોલ્ટર્સ હાંફળા-ફાંફળા થઈ ગયા છે. પૂર્વ ઝોન બાદ પશ્ચિમ ઝોનમાં સત્તાધીશોએ ૨૪,૩૭૮ મિલકતને સીલ મારીને ડિફોલ્ટર્સના હોશ ઉડાવી દીધા છે. તંત્રના સત્તાવાર રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગઈ ૨૦ માર્ચ સુધીમાં આ બે ઝોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૩,૨૪૬ અને દક્ષિણ ઝોનમાં ૧૩,૨૩૫ મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે.