આજે દેશભરમાં મધર્સ-ડેની ઉજવણી થઇ રહી છે ત્યારે આજે અમે તમને ભેટ કરાવીશું એક એવી માતા સાથે જેમણે પોતાનું સમગ્ર જીવન નિરાધાર અને દિવ્યાંગ બહેનો માટે સમર્પિત કરી દીધું છે. વાત છે, સુરેન્દ્રનગર-મુળી રોડ પર આવેલા સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજના મુક્તાબેન ડગલીની.
જેમણે પોતાનું જીવન અનાથ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા માટે ન્યોછાવર કરી દીધું. મુક્તાબેન અને તેમના પતિ પંકજકુમારે વર્ષ 1996માં સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ નામની સંસ્થા શરૂ કરી હતી.
4 પ્રજ્ઞાચક્ષુ બહેનોથી સંસ્થા શરુ કરી હતી અને તે સમયે જ પોતે જીવનભર નિઃસંતાન રહેવાનું નક્કી કરી દિવ્યાંગો માટે સેવા કરવાનું નક્કી કર્યું હતું. હાલ આ સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ સહિત ચારથી વધુ સંસ્થાની શાખાઓમાં 850થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોને આશ્રય આપવામાં આવ્યો છે. જ્યાં મુક્તાબેન તેમને એક સગી માતા અને પરિવાર કરતા પણ વધુ પ્રેમથી સાચવે છે. અને તેમની સારસંભાળ રાખે છે.
આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર, રસોઈ, સીવણ સહીતની ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ શાળા-કોલેજ સુધી અભ્યાસ પણ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત જ્યારે દીકરીઓના લગ્ન કરાવી અને ઘરવખરી સહિતની જીવનજરૂરિયાતની વસ્તુંઓ પણ આપવામાં આવે છે. અને આ સેવા કાર્ય માટે મુક્તાબેન ડગલીને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે આજે મધર્સ-ડેના દિવસે નિસ્વાર્થ સેવા કરતા મુક્તાબેન ડગલીને સલામ છે.