જમ્મૂ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારમાંથી, કરફ્યૂ હટાવી લીધા બાદ, આંતકીઓએ ફરીવાર માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. આંતકીઓ બહારથી આવેલા વેપારીઓને નિશાન બનાવીને ખીણવિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘાટીમાં છેલ્લાં 72 કલાકમાં એક બાદ એક થયેલી ત્રણ હત્યાઓથી બીજા રાજ્યોમાંથી અહીં આવતા વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે.
72 કલાકમા એક બાદ એક ત્રણ હત્યાઓથી વેપારીઓમાં ભયનો માહોલ
આતંકવાદીઓએ તેમને અધવચ્ચે આંતરીને ગોળી મારી દીધી
આતંકીઓ કાશ્મીર ખીણમાંથી કોઇ વસ્તુ બીજા રાજ્યો લઈ જવા દેવા માગતા નથી
આતંકીઓ દુનિયામાં એવું દર્શાવવા માગે છે કે, 'કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે...'
નવા કાશ્મીરમાં શાંતિની નવી પરોઢ થઈ રહી હતી. આ પરોઢમાં કોઈ પોતાના વેપારને આગળ વધારવા તો કોઈ પોતાના પરિવારનું પેટ ભરવા અહીં મોટી આશાઓ લઈને આવ્યા હતા. પરંતુ હતાશ જેહાદીઓને તેમને પણ ન છોડ્યા. આખરે તેમનો વાંક શું હતો. ન તો તેમને કાશ્મીરની રાજનીતિ સાથે કોઈ સંબંધ હતો કે નતો કોઈ સાથે વેર હતું. તે તો હજારો કિલોમીટર દૂરથી પરિવાર માટે રોજી રોટી કમાવા આવ્યા હતા. પરંતુ આ વાત જેહાદીઓને પસંદ ન આવી. જમ્મૂ કાશ્મીરમાં ગત સોમવારની રાત્રે બે આતંકીઓએ રાજસ્થાનના ભરતપુરના ટ્રક ડ્રાઈવર શરીફખાનની હત્યા કરી નાખી. તો બુધવારે પુલવામામાં બુધવારે ઈંટની ભઠ્ઠા પર કામ કરનારા છત્તીસગઢના મજૂર સેઠી કુમારની પણ હત્યા કરી નાખી. તો એ જ સોમવારે પંજાબનાના સફરજનના વેપારી ચરણજીત સિંહનો પણ આંતકીઓ જીવ લઈ લીધો.
72 કલાકમા એક બાદ એક થયેલી ત્રણ હત્યાઓ
રાજસ્થાનના ભરતપુર સ્થિત શરીફખાનના ઘરે માતમનો માહોલ છે. ભરતપુરના રહેવાસી શરીફખાન ટ્રક લઈને જમ્મૂ કાશ્મીરમાં સફરજન લેવા ગયા હતા. પરંતુ આતંકવાદીઓએ તેમને અધવચ્ચે આંતરીને ગોળી મારી દીધી. એટલું જ નહીં તેમનો ટ્રક પણ સળગાવી દીધો હતો. કાશ્મીર ખીણમાં છેલ્લાં 72 કલાકમા એક બાદ એક થયેલી ત્રણ હત્યાઓના કારણે બીજા રાજ્યમાંથી વેપાર અર્થે આવતા વેપારીઓ અને મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે આતંકીઓ કાશ્મીર ખીણમાંથી બીજા રાજ્યોમાં સફરજન અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા દેવા માગતા નથી. બીજા રાજ્યોથી આવેલા ટ્રક ડ્રાઈવર ફળોની ખેપ ઉઠાવ્યા વગર જ ખીણમાંથી પરત ફરી રહ્યા છે. વેપારીઓ ટ્રક લોડ થાય તે પહેલા જ ખીણ વિસ્તાર છોડી દેવાનું મન બનાવી ચૂક્યા છે.
સફરજન પર ઉર્દુમાં લખ્યું કે, `અમને આઝાદી જોઈએ છે'
જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગતાવાદી સંગઠનોની હતાશા સ્પષ્ટ નજરે પડી રહી છે. તેઓ કાશ્મીરમાં જાણે શાંતિ ઈચ્છતા નથી. કાશ્મીરમાંથી સફરજન લઈ જઈ રહેલા ટ્રક ચાલકોને નિશાન બનાવ્યા બાદ હવે સફરજનો ઉપયોગ કરીને લોકોના દિમાગમાં ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કઠુઆના મુખ્ય બજારમાં ફળના વેપારી પાસેથી કાશ્મીરથી આવેલા સફરજનમાં પાકિસ્તાન અને આતંકીઓના સમર્થનમાં લખાણ લખેલા જોવા મળ્યા છે. પોલીસે આ સફરજન જપ્ત કર્યા છે. સફરજન પર પાકિસ્તાન જિંદાબાદ તેમજ બુરહાન વાની અને ઝાકિર મુસાનું લખાણ લખાયેલું છે. સાથે જ ઉર્દુમાં `અમને આઝાદી જોઈએ છે' જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા છે.
આતંકીઓ દુનિયામાં એવું દર્શાવવા માગે છે કે, 'કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે...'
આતંકવાદીઓના આ કૃત્યો વિશે કોઈને નવાઈ નથી. કેમ કે, પહેલાથી એ આશંકાઓ હતી જ કે આતંકીઓ હજુ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે. આમ કરીને આતંકીઓ દુનિયમાં એવું દર્શાવવા માગે છે કે, કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે. પરંતુ હકીકત એ છે કે, કાશ્મીરમાં સુધરી રહેલી સ્થિતિ વચ્ચે જેહાદી તત્વો ડરી ગયા છે. ડરનો માહોલ પેદા કરવા માટે છૂટી છવાઈ હત્યાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જો કે જમ્મૂ કાશ્મીરમાં પોલીસ અને સેના સતર્ક છે. તે આતંકીઓના મેલા મનસૂબાને સફળ નહીં થવા દે તે નક્કી છે.