ગુજરાતમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી છે. ભરૂચના જંબુસર પંથકમાં વાતાવરણ પલટાયું છે. તેમજ આ સાથે કાવી, કોરા, જંત્રાણ સહિતના ગામોમાં વરસાદ થયો છે. વરસાદને પગલે ખેતીને નુકશાનની થવાની સંભાવના છે.
અમદાવાદમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે મેઘરાજાએ છાંટણા કર્યા હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારો જેવાં કે બોડકદેવ, વસ્ત્રાપુર, એસ. જી હાઈવેમાં ઝરમર વરસાદ થયો હતો.
વલસાડમાં પણ વરસાદ
બીજી બાજુ વલસાડના વાતાવરણમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી હતી. બેસતા વર્ષના તહેવાર પર વરસાદી માહોલ સર્જાયો છે. ધરમપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. તહેવારોમાં વરસાદી માહોલથી લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ
છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નસવાડી નજીકના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બોરીયાદ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ જોવા મળી છે. મકાઈ, ડાંગર, અડદ સહિતના પાકને નુકસાનની શક્યતા છે.
સારા સમાચાર
જો કે હવે ક્યાર વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે ત્યારે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ઉઘાડ જોવા મળશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. જ્યારે દ.ગુજરાતના દરિયાકિનારાને પણ અસર થવાની શક્યતા હતી તે પણ હવે જોવા નહીં મળે તેમ જાણવા મળ્યું છે.