સ્વતંત્રતા પર્વે આખો દેશ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરે છે. નામી અનામી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે. પ્રખર દેશભક્તોના દાખલા અપાય છે. જો કે, આપણી આસપાસ પણ કેટલાંક અનામી દેશભક્તો વસે છે. જે ગરીબી અને ગુમનામીમાં મરવાના વાંકે જીવી રહ્યાં છે. આવા જ એક દેશભક્ત છે 90 વર્ષનાં ભગુદાદા. કચ્છ-ભુજના ઝુરા ગામે રહેતાં ભગુદાદા આઝાદી સમયે ભારતના જાસૂસ હતાં.
ભગુદાદા પાકિસ્તાનના સિંધમાંથી ભારત આવ્યા હતા
ભગુદાદાનું આખું નામ છે ભગુ ઉમરા ભીલ. 1947માં જ્યારે ભારતના ભાગલાં નહોતા થયાં ત્યારે ભગુદાદાના વડવાઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠીમાં રહેતાં હતા. પરંતુ ભાગલા થયા બાદ ભગુદાદા તેમના પત્નીને લઈ ઝુરા ગામે આવીને સ્થાયી થયાં હતાં. સીંધી બોલી, સીંધી ખાનપાન અને સીંધનાં ખૂણે-ખૂણાથી વાકેફ ભગુદાદા ભલે અભણ હોય પણ તેમની કોઠાસૂઝ ખૂબ સારી છે. તેમની આ કોઠાસૂઝે જ જીવનને એક નવો રાહ ચીંધ્યો.
ભારતીય એજન્સીઓના જાસૂસ તરીકે પાકિસ્તાન જતાં
ભારતમાં આવ્યા બાદ ભગુદાદા ભારતીય એજન્સીઓ અને સેના માટે સૉર્સ તરીકે કામ કરવા લાગ્યા. જીવનના નવ દાયકા ગુજારી ચૂકેલાં ભુજના ઝુરા ગામનાં આ ગરીબ વૃધ્ધને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ પાકિસ્તાની સેના આજે પણ ભગુ દાદાના નામથી ભડકી ઉઠે છે. તેમણે ભારતીય સેના માટે જાસૂસી કરવામાં જાત ઘસી નાખી છે.રણ સરહદના ભોમિયા ભગુદાદા અસંખ્યવાર પાકિસ્તાન જઈ આવ્યાં છે.
પાકિસ્તાને 20 હજારનું ઈનામ જાહેર કર્યું હતું
ભારતીય સેનાના સોર્સ તરીકે ભગુદાદા એટલી હદે પંકાઈ ગયા હતા કે પાકિસ્તાને તેમને પકડી લાવનાર માટે વીસ હજાર રુપિયાનું ઈનામ રાખ્યું હતું. ને આ ઈનામે જ ભગુદાદાને 25 જાન્યુઆરી 1985માં પકડાવી દીધાં હતા.
પાક. સેનાએ પકડી પાડ્યાં અનેક યાતનાઓ આપી
પાકિસ્તાની સૈન્યએ તેમની પર ભયાનક જુલમ ગુજાર્યો હતો. બસ મારી નાખવાનું જ બાકી રાખ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભગુદાદાને જેલમાં દોરડાથી ઊંધા લટકાવી ભયાનક યાતના આપી હતી. એ યાતનાને યાદ કરતાં ભગુદાદા આજે પણ બેઘડી કંપી ઉઠે છે. પાકિસ્તાની સેનાના અત્યાચારનાં કારણે તેમની હાંસડી તૂટી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના પેટમાં પણ છૂરા ભોંક્યા હતા. તો લાકડીઓ મારીને મારીને પગના ઘુંટણની ઢાંકણીઓ તોડી નાખી હતી.
પાંચ વર્ષ સજા ભોગવી અને પાક. કોર્ટના આદેશ બાદ ભારત આવ્યા
જીવતા પકડાયેલા ભગુદાદા પાસેથી પાકિસ્તાની સેના ઘણું બધુ ઓકાવવા માંગતી હતી. પરંતુ ધન્ય છે ભગુદાદાની હિંમતને તેમણે ક્યારેય એક શબ્દ ઉચ્ચાર્યો નહીં. હું તો ભૂલથી પાકિસ્તાનમાં આવી ચઢ્યો છું બસ તે જ રટણ રટ્યે રાખ્યું. ભગુદાદાને મારી મારીને પાકિસ્તાની ફોજ થાકી પણ ભગુદાદાની હિંમત-હૌંસલાને ભાંગી શકી નહીં. આખરે પાંચ વર્ષના યાતનામય કારાવાસ બાદ પાકિસ્તાની કૉર્ટના આદેશ બાદ ભગુદાદાનો છૂટકારો થયો હતો.
આજે પણ ઊંટ પર પાકિસ્તાન જવા તૈયાર
પાકિસ્તાનની જેલમાં અસહ્ય યાતનાઓ વેઠ્યાં બાદ પણ ભગુદાદાએ પોતાની અસલિયત છતી કરી નહોતી. અસહ્ય યાતનાઓ વેઠ્યાં બાદ પણ ભગુદાદા હામ નહોતા હાર્યા. 2001ના ભૂકંપ બાદ પણ તે ભારતીય સેના માટે ફરી ચારથી પાંચવાર પાકિસ્તાનની ખેપ મારી આવ્યાં હતા. પણ હવે ઊંમરે સાથ આપવાનું છોડી દીધું છે. જો કે, ભગુદાદા આજે પણ જરુર પડે તો ભારત માતા માટે ઊંટ પર પાકિસ્તાન જવા તત્પર છે. .
આજના દિવસે ગરીબીમાં સબડી રહ્યા છે ભગુદાદા
ભગુ ઉમરા ભીલ આજે પણ બસ આટલી ઓળખ બંને દેશના ગુપ્તચરો માટે પૂરતી છે. ભારતીય સૈન્યના સોર્સ તરીકે જીવના જોખમે કામ કરનારાં ભગુદાદાને સાચ્ચે જ સો સો સલામના હક્કદાર છે. પણ અફસોસ કે આ અભણ વૃધ્ધ આજે કારમી ગરીબી અને ગુમનામીમાં સબડી રહ્યાં છે. ભગુદાદા પાસે અનુભવનો ભંડાર છે. તેમને ઘણું કહેવું છે. પણ હવે તેમની કોઈ કિંમત રહી નથી.
કોઈ પણ પ્રકારના સન્માન વગર માત્ર આત્મખુશીથી જીવે છે
પાકિસ્તાનના આંટાફેરા અને અત્યાચાર સહન કરી કથળેલી કાયા એક ખોરડા પૂરતી સીમિત રહી ગઈ છે. દારુણ ગરીબી છે. ચાર પુત્રો છૂટક મજૂરી કરી માંડ પેટીયું રળે છે. ગરીબી અને ગુમનામીમાં સબડતાં ભગુદાદા પાસે ભારતીય સેનાએ આપેલું એક ઓળખપત્ર આશાના કિરણ સમાન છે. તેમને આશા છે કે, ક્યારેક તો કોઈક તેમની કદર કરશે. રોજના રોટલા શોધવાનું દુખ દૂર થશે. આઝાદીના પર્વની ઉજવણીએ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ નૃત્ય કરનાર યુવાનોના સન્માન થાય છે. ત્યારે, ગરીબી અને ગુમનામીમાં જીવતાં ભગુદાદાને યાદ કરી એક શાલ ઓઢાડી સન્માન આપીએ તો પણ ઘણું.