કચ્છ: રાજ્યમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનો ઓછો સંગ્રહ થયો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં જળસંકટ આવે તેવી શક્યતા છે.
રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે. કચ્છના જળાશયોમાં માત્ર 11.42 ટકા જ જળસ્તર છે. રાજ્યમાં 14 જળાશયોમાં જ 90 ટકા કરતા વધુ પાણી છે. જ્યારે 13 જળાશયોમાં 80 90 ટકા પાણી 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણી અને 166 જળાશયોમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના 166 ડેમોમાં 70 ટકા કરતાંય ઓછું પાણી રહ્યુ છે જયારે 34 ડેમોમાં તો પાણીના તળિયા દેખાઇ રહ્યાં છે કેમકે માત્ર દસ ટકા કરતાંય ઓછુ પાણી બચ્યું છે. નર્મદાડેમમાં પાણીનો જથ્થો અમુક અંશે જ વધવા પામેલ છે તો આ તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં ડેમો તળિયાઝાટક ડેમો સૂકાતા જાય છે અને પ્રજા પણ પાણી માટે પોકાર કરી રહી છે.
આ માટે રૂપાણી સરકારે ગુજરાતના કેટલાક ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે તો આ સાથે જ કચ્છમાં તો પાણીની ખુબજ તંગી શિયાળાથી દેખાઇ રહી છે કારણ કે ચાલુ વર્ષે કચ્છમાં પુરતા પ્રમાણમાં વરસાદ થયો નહોંતો. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પાણી અંગે કોઇ ખાસ પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.