'વાયુ' વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક જ્યારે આવી રહ્યું છે. જેને લઇને પોરબંદર અને ગીર-સોમનાથમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
તંત્ર દ્વારા અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એન.ડી.આર.એફ.ની ટીમ પણ કંડલા પોર્ટ પહોંચી છે. અહીંના સ્થાનિકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાને પગલે કચ્છમાં NDRFની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. કચ્છમાં હાઈ એલર્ટને પગલે કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે.
જેમાં મોઢવા ગામ પાસેના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. કચ્છમાં મોઢવા ગામના 1200 લોકોનુ સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એસ.ટી.બસો દ્વારા લોકોને દૂર સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
બીજી તરફ, દ્વારકાનો દરિયો પણ હવે ધીરે ધીરે જોર પકડી રહ્યો છે. હાલમાં દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દરિયામાં ઉછળતા ઉંચા મોજાનો નજારો જોવા માટે લોકો પણ ઉમટ્યા છે. જ્યારે તંત્ર પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે સજ્જ બન્યુ છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હવે રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. સાવચેતીના પગલાંને ધ્યાનમાં લઇને બેટ દ્ધારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. દરિયામાં કરન્ટ અને વાયુ વાવાઝોડાને લઇને ફેરીબોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુ વાવાઝોડાના લઇને દ્ધારકામા પ્રવાસીઓને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.