ગુરૂને ઇશ્વરનું સ્વરૂપ મનાય છે. ગુરૂ માતા- પિતા કરતાં પણ વિશેષ હોય છે. પરંતુ કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકે આ માન્યતાને ભ્રામક સાબીત કરી છે. તેમણે તો વિદ્યાર્થીઓને મારીને દાટી દેવાની ધમકી આપી છે.
કચ્છ યુનિવર્સિટી વારંવાર વિવાદમાં ઘેરાયેલી રહે છે. ક્યારેક પ્રશ્નપત્ર તપાસવામાં થયેલી ભૂલના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોય કે ક્યારેક વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકને શાહી લગાવી હોય કે ક્યારેક ઇન્ચાર્જ રજીસ્ટ્રારને હંગામી કર્મચારીએ લમધાર્યા હોય, આ યુનિવર્સિટી હંમેશા જ કચ્છના શૈક્ષણિક જગતમાં ચર્ચા જગાવે છે.
કચ્છમાં વર્ષો સુધી ઉચ્ચ શિક્ષણની કોઇ સુવિધા ન હતી. ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો અમદાવાદ જવું પડતું. સ્વ. પ્રો. વખતસિંહજી જાડેજા સહિતના શિક્ષણપ્રેમીઓના વર્ષોના પ્રયત્નો પછી કચ્છને યુનિવર્સિટી મળી છે. યુનિવર્સિટી મળ્યાને 12-13 વર્ષ થયા છે. તેમાં લાંબો સમય કાયમી કુલપતિનો અભાવ રહ્યો છે. એક કુલપતિની મુદત પૂરી થયા પછી બીજાની નિમણૂંકમાં 3-4 વર્ષનો સમય લાગી જાય છે. અત્યારે પણ યુનિવર્સિટીને ઇન્ચાર્જ કુલપતિ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર વગેરે સંભાળી રહ્યા છે.
ચાલુ ક્લાસે મોબાઇલમાં મસ્ત અને વિદ્યાર્થીઓને કહે છે અપશબ્દો
સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક જયદેવસિંહ રાયજાદા સામે વિદ્યાર્થીઓ 17 જેટલા આક્ષેપો કરતી લેખિત રજૂઆત ઇન્ચાર્જ કુલપતિને કરી છે. એમ.એ. સેમ.1 અને 3માં ભણતા વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ‘આ પ્રાધ્યાપક અમને માનસિક ત્રાસ આપે છે. તેઓ મનફાવે તેમ બોલીને, એડમીશન કેન્સલ કરાવી નાખવા સુધીની ધમકીઓ આપે છે. તેમ જ કેસ કરી જેલમાં નખાવી દેવાની અને મારા વિશે જો ક્યાંય ફરિયાદ કરશો તો મારીને દાટી દેવાની ધમકી પણ આપે છે. આ પ્રાધ્યાપક ચાલુ ક્લાસે પણ મોબાઇલમાં વ્યસ્ત રહે છે. વિદ્યાર્થિનીઓને પણ અપશબ્દો કહે છે.’ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપીને આ પ્રાધ્યાપક સામે પગલાં લઇને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માગણી કરી છે.
વિદ્યાર્થીઓએ રજૂઆત કર્યા પછી ઇન્ચાર્જ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાએ પ્રાધ્યાપકને સમજાવીને દૂર- દૂરથી આવનારા વિદ્યાર્થીઓ બસના સમય મુજબ યુનિવર્સિટીમાં પહોંચતા હોવાથી તે મુજબ ક્લાસનું આયોજન કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓને શાંતિથી શીખવવાના બદલે ધમકી આપતા પ્રાધ્યાપક સામે પગલાં લેવાના બદલે તેમને સમજાવવાની વાતથી વિદ્યાર્થીઓના રોષમાં વધારો થયો છે.