કચ્છ:આદિપુરથી અંજાર તરફ જતાં માર્ગ પર આવેલ ફાટક પર એક ખાનગી કંપનીની બસ પાટા પર ખોટકાઇ જતાં ટ્રાફિકજામની સ્થિતી સર્જાવા પામી હતી આ ઘટનાની સાથે ઉપરાંત રેલવેનું એન્જિન પણ અટકી પડયું હતું.
આ ઘટના અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે એક ખાનગી કંપનીની બસ રેલવે ફાટક ઉપર જ બગડી હતી. બસમાં તકનિકી ખામી સર્જાતાં ધક્કા મારીને ફાટકથી આગળ વધારી શકાઇ ન હતી. આ સમસ્યાના કારણે આદિપુરથી અંજાર આવતા અને અંજારથી આદિપુર આવતા સેંકડો વાહનોના થપ્પા લાગ્યા હતા.
વાહનોની લાંબી કતારના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી જેને નિવારવા સ્થળપર કોઇ પોલીસ ન પહોંચતાં અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.
ટ્રાફિકજામના કારણે ભુજ-ગાંધીધામ વચ્ચે અવર-જવર કરતી બસોને વાયા અંજાર ગળપાદર રોડ તરફ દોડાવવાની ફરજ પડી હતી.
જેથી આદિપુર જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમ્યાન ફાટક વચ્ચે જ બસ અટકી જતાં મુંદરાથી ગાંધીધામ તરફ આવતું ટ્રેનનું એન્જિન અટકાવાયું હતું. 2 કલાક બાદ બસ આગળ નીકળતાં ટ્રાફિક રાબેતામુજબ થયો હતો.