સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પ્રજાકીય પ્રતિનિધિઓ પોતાની જવાબદારી અદા કરી રહ્યા છે. ત્યારે કચ્છીમંત્રી વાસણ આહીર મુખ્યમંત્રીની સૂચનાથી ઘરે બેસીને સરકારના કાર્યો કરી રહ્યા છે ઉપરાંત તેઓએ પગપાળા હતા 8 શ્રમિક પરિવારને આશરો આપ્યો છે.
વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા સમગ્ર દેશમાં લોકડાઉન જારી કરી દેવાયું છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતે તકેદારીના વધુ પગલાં અને સમયસર કાર્યવાહી કરતા રોગ હજી બેકાબુ બન્યો નથી. ત્યારે ધારાસભ્ય, સાંસદ સહિતના પણ ઘરે પરિવાર સાથે બેસી પોતાનાથી બનતા કાર્યો કરે છે, અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી વાસણ આહીર પણ પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જનપ્રિય મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચનાને આધારે લોકડાઉનમાં ઘરે રહીને પણ સરકારના કાર્યો કરે છે.
ઘરે પરિવાર સાથે રહીને લોકોના આરોગ્ય અને સરકારી સૂચનાઓની અમલવારી અંગે પગલાંઓ ભરવામાં આવે છે. લોકોને મદદરૂપ થવાની દિશામાં કામ કરવામાં આવે છે. દિનચર્યામાં મોટાભાગનો સમય પોતાની વાડીએ પસાર કરે છે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું, પાણી છાંટવું, ઘોડા-પશુઓને ખાણદાણ સહિતની કામગીરીમાં મંત્રી પરોવાયેલા રહે છે. આધુનિક યુગમાં હાલની પરિસ્થિતિમાં તેઓ ઘરે બેસીને પણ સરકાર ચલાવી રહ્યા છે.
લૉકડાઉન વચ્ચે પણ મંત્રી વાસણ આહીર પોતાની વાડીએ કામ કરતા વ્યક્તિઓની તકેદારી રાખી અંતર જાળવવા તાકીદ કરે છે. અંદાજે 60 એકરની વાડીમાં ઘઉં, કચ્છી ખારેક સહિતના પાક છે. તેઓની માવજત, ઘોડા, દુધાળા પશુઓની રખેવાળીમાં તેઓ વ્યસ્ત રહેતા હોય છે. ત્યારે મંત્રી વાસણ ઘરેથી પોતાની રતનાલ ગામ સ્થિત વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં 8 જેટલા મજૂર પરિવારો પગપાળા જતા દેખાયા, ગાડી ઉભી રાખી શ્રમિકોને પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું કે, અમે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના છીએ અને કુકમાની કંપનીમાં કામ કરતા હતા લોકડાઉનમાં માલિકે અમને તગેડી મુક્યા, જમવાનું તો શું સાથે ટિકિટના રૂપિયા પણ નથી આપ્યા, ભગવાન ભરોસે ચાલતા ચાલતા જઈએ છીએ.
ત્યારે મંત્રી આહિરે મજૂરોને પોતાની વાડીમાં આશરો આપી જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી જમવા અને રહેવાની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાથી મંત્રી આહિરે માનવતાનું દાયિત્વ નિભાવ્યું છે.
તેઓ ઘરે પરિવાર સાથે સમય વિતાવવા સાથે કચ્છમાંથી બહાર અટવાયેલા પરિવારોની મદદ અને લૉકડાઉનની સ્થિતિમાં કોઈ વર્ગને તકલીફ ન પડે તે માટેની કામગીરી કરી રહ્યા છે. કચ્છીઓને લોકડાઉનમાં અભૂતપૂર્વ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.