હાલમાં પણ ઘરેલૂ હિંસાના બનાવો સતત બનતા જ રહે છે. દહેજને લઈને સાસરિયા તેમની વહૂઓને હેરાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સિવાય કોઈ બાબત હોય તો તે બાળકોને લઈને હોય છે. ગણેશ ચતુર્થીના અવસરે મુંબઈના બોરિવલીમાં 28 વર્ષની કચ્છી પરિણિતાએ નિવાસસ્થાનેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
રવિવારે થાણેમાં બે માસૂમ બાળકોને ગળે ફાંસો આપ્યા પછી 28 વર્ષની કચ્છી પરિણીતાએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી તે ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક પરિણીતાએ આત્મહત્યા કરી છે. નિશાએ અંતિમ પગલું ભરતાં પહેલાં વ્હોટસએપ સ્ટેટસમાં મિચ્છામી દુક્કડમ સાથે બે હાથ જોડતો ફોટો પણ મૂક્યો હતો. જોકે કૂદકો માર્યો એ સમયે તેનો મોબાઇલ જોડે હોવાથી તે તૂટી ગયો હતો.
પતિ અને સાસરિયાંને જવાબદાર ઠેરવ્યા
બોરીવલી- ઇસ્ટમાં પતિ, સાસુ અને સસરા સાથે રહેતી નિશા મિતેશ ગંગરે મંગળવારે બપોરે આત્મહત્યા કરી હતી. આ પૂર્વે તેના પિતા, ભાઇ અને અમુક મિત્રોને એક સ્યૂસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેના મૃત્યુ પાછળ પતિ અને સાસરિયાંને જવાબદાર ઠેરવ્યા હતા. આઘાતજનક રીતે, એક સ્યૂસાઇડ નોટમાં તેણે એમ પણ લખ્યું છે કે ગણપતિ બાપ્પા તેને લેવા માટે આવ્યા છે અને તે તેની સાથે જઇ રહી છે. તે દિવસે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન હતું.
નિશાના 2017માં લગ્ન થયા હતા
કચ્છના મુંદ્રા તાલુકાના કપાયાના વતની હાલ કર્ણાટકના હુબલીમાં ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રફુલ્લ મનાનિયાની ફેશન ડિઝાઇનર દીકરી નિશાનાં કચ્છના માંડવી તાલુકાના ગોધરાના વતની અને હાલ બોરીવલી પૂર્વના મેઇન કાર્ટર રોડ પર જય ચામુંડા સોસાયટીમાં રહેતા મિતેશ ગંગર સાથે 15 ડિસેમ્બર, 2017નાં લગ્ન થયાં હતાં.
શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોવાની પિતાની ફરિયાદ
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે 12.45 વાગ્યે નિશાએ 10મા માળે ઘરની બહાર પેસેજની ગેલેરીમાંથી નીચે કૂદકો મારીને આત્મહત્યા કરતાં પહેલાં તેણે કર્ણાટકના રહેવાસી તેના પિતા પ્રફુલ્લ મનાનિયા (52)ને સંદેશ લખ્યો હતો. ઘટના અંગે સોસાયટી ચોકીદારે પરિવારજનો અને પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. નિશાના પિતાએ જણાવ્યું છે કે સાસરિયાંએ તેની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને તેને ઘરની બહાર જવા દેતાં નહોતાં. ઉપરાંત રૂ. 2 કરોડ રૂપિયાની માગણી પણ કરતા રહેતા હતા.
10 માળ દાદર ચઢીને ઉપર ગઈ અને છલાંગ લગાવી દીધી
કસ્તુરબા માર્ગ પોલીસે નિશાના પિતાની ફરિયાદના આધારે તેના પતિ મિતેશ અને સસરા લક્ષ્મીકાંતની આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. આ મામલે સાસુ નીતાબેન હજી ફરાર છે. પરિચિતોએ જણાવ્યું હતું કે નિશા મંગળવારે દેરાસરથી દર્શન કરીને તેના 10મા માળના ઘરે જઇ રહી હતી, પરંતુ લિફટમાં અન્ય ઈમારતના રહેવાસી હતા. તેથી તેણે લિફટમાં જવાને બદલે 10 માળ દાદર ચઢીને ઉપર ગઈ હતી અને પછી ઉપરથી કૂદી પડી હતી. એ સમયે મુલુંડમાં કેમિકલ એન્જિનિયર તરીકે એક કંપનીમાં જોબ કરતો અને ઝવેરી બજારમાં ઈમિટેશન જવેલરીનો વેપાર કરતા સસરા લક્ષ્મીકાંત અને સાસુ ઘરમાં જ હતાં.
પિતાને ભાવનાત્મક મેસેજ મોકલ્યો
નિશાએ કૂદતાં પહેલાં 11.32 મિનિટે વ્હોટ્સએપ પરથી ભાવનાત્મક અને તેને સાસરિયાંમાં ત્રાસની માહિતી આપતો મેસેજ પિતાને મોકલ્યો હતો, પરંતુ જોગાનુજોગ નિશાના પરિવારજનો પયુર્ષણ પર્વ પ્રસંગે હુબલીથી માદરેવતન કચ્છ હતા. તેના પિતા સંદેશો વાંચે એ પહેલાં તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. નિશાનાં ફોઈ પુષ્પાબેન મીરા રોડમાં રહે છે અને અંતિમસંસ્કાર પણ ફોઈના મીરા રોડના ઘરેથી કરાયા હતા.