ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ) એક દુર્લભ પક્ષી છે. ગુજરાતમાં આ પક્ષીની વસતી માત્ર કચ્છમાં જ છે. જો કે આજે ફક્ત છ માદા ઘોરાડ જ બચ્યા છે. એક પણ નર નથી. ગત ડિસેમ્બર માસમાં રાજ્યનો એક માત્ર નર ઘોરાડ ગુમ થઇ ગયો હતો. છ માસ પછી પણ તેનો પત્તો લાગ્યો નથી.
સામાન્ય રીતે ઉનાળાના સમયમાં ઘોરાડ તેમના નિયત વિસ્તારની બહાર પણ જતા હોય છે, જે પ્રજનનની ઋતુમાં વરસાદ પછી પરત આવી જાય છે. પરંતુ આ વખતે નર ઘોરાડ પરત આવ્યો નથી. તે કદાચ સીમા પાર કરીને પાકિસ્થાન જતો રહ્યો હોવાની શક્યતા વનખાતાના અધિકારીઓ જોઇ રહ્યા છે.
પાકિસ્તાનમાં ઘોરાડ સહિતના પક્ષીઓનો મોટાપાયે ગેરકાયદે શિકાર થઇ રહ્યો હોવાની ચેતવણી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા અપાઇ હતી. આથી કચ્છના એક માત્ર નર ઘોરાડ વિશે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા ફેલાઇ છે પ્રજનનની ઋતુને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે. ત્યાં સુધીમાં જો આ નર પરત ન ફરે તો ભવિષ્યમાં રાજ્યમાં ઘોરાડના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ મુકાઇ શકે છે.
રાજસ્થાનમાં ઘોરાડ પક્ષીઓની વસતી છે ત્યારે જો કચ્છનો નર પરત નહીં આવે તો ગુજરાતે પોતાના રાજ્યમાં ઘોરાડનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજસ્થાનને નર ઘોરાડ આપવાની અપીલ કરવી પડશે. કચ્છમાં ઘોરાડનું કેપ્ટીવ બ્રીડિંગ સેન્ટર સ્થાપવાની ચર્ચા હતી પરંતુ પાછળથી રાજસ્થાનને ફાળવાયું હતું.
થોડા સમય પહેલા જ સર્વપ્રથમ કેપ્ટિવ બ્રીડિંગ માટે બે ઇંડા રાજસ્થાનના વનતંત્રએ એકઠા કર્યા હતા. આવું કચ્છમાં પણ કરવાની જરૂર છે. નર ઘોરાડ ગુમ થવાના પગલે તેના પર ટ્રેકિંગ માટે ટેગ લગાવાયો ન હોવાનું જાણવા મળે છે. આવા ટેગ વિલુપ્ત થઇ રહેલી જાતિના પક્ષીઓ પર લગાવવાની તાતી જરૂર હોવાનો પણ પક્ષી નિષ્ણાંતોનો મત છે.