કચ્છનો વિદેશો સાથે ગાઢ સંબંધ છે. વિદેશમાં વસતા કચ્છીઓ સમયે સમયે વતન આવતાં જતાં રહે છે. ચૈત્ર માસમાં આવતા તહેવારો પોતાના વતનમાં મનાવવા માટે મોટી સંખ્યામાં પરદેશમાં રહેતા કચ્છીઓ કચ્છમાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યા છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસનો કહેર તૂટી પડતાં આ NRI લોકોને વતનમાં મજાના બદલે એકાંતવાસની સજા ભોગવવી પડી રહી છે.
કચ્છ માં અત્યાર સુધી ૪ દર્દીઓ કોરોના પોઝિટિવ છે, પરંતુ આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને પોલીસ આ રોગનો પગપેસારો વધે નહીં તે માટે ખૂબ સઘન પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક અંતર જાળવવા લોકોને સતત સૂચનાઓ અપાય છે, તો બીજા રાજ્યમાંથી કે અન્ય દેશમાંથી આવેલા લોકોને અલગ તારવીને તેમને ક્વોરન્ટાઇન કરાય છે. કચ્છ માં તા.૩જી એપ્રિલ સુધીમાં ૧૪૦૬ લોકો વિદેશથી આવ્યા છે. જ્યારે રેલવે દ્વારા ૧૦,૧૨૫ અને રોડ દ્વારા ૨૩,૨૦૦થી વધુ લોકો આવ્યા છે. આરોગ્ય તંત્રે તમામની તપાસણી કરી છે. કુલ ૬૦૨૬ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં ૮૫ લોકોને રખાયા છે.
NRI ગામ તરીકે ઓળખાય છે માધાપર
પટેલોની વસતી જ્યાં વધુ છે તેવાં ગામો કચ્છ માં પટેલ ચોવીસીનાં ગામો તરીકે ઓળખાય છે. જેમાં માધાપર, સુખપર, મિરઝાપર, નારાણપર, માનકુવા જેવાં ગામો મુખ્ય છે. માધાપર તો એન.આર.આઈ.ના ગામ તરીકે જ ઓળખાય છે. મોટા ભાગનાં ઘરોમાંથી ઓછામાં ઓછી એકાદ- બે વ્યક્તિ વિદેશોમાં કમાવા માટે ગઈ હોય છે અથવા ત્યાં સ્થાયી થઈ હોય છે. અત્યારે માધાપર ગામમાં ૨૫૦થી વધુ એન.આર.આઈ. લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.
આટલા દેશોમાં કચ્છીઓ સ્થાયી થયા છે
આ ગામો ઉપરાંત અંજાર , બળદિયા, નલિયા , જખૌ જેવાં ગામોના લોકો પણ કમાવા માટે મોટી સંખ્યામાં વિદેશોમાં જાય છે. અનેક કચ્છીઓ લંડન- યુ.કે., સાઉદી અરેબિયા, યુ.એ.ઈ., ઓમાન, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, સિસલ્સ, કેન્યા જેવા દેશોમાં કમાવા માટે જાય છે. આ સિવાય પણ હોંગકોંગ, દુબઈ, થાઇલેન્ડ, ઇટલી, બેંગકોક, પટાયા, સિંગાપુર, ઈરાન, મલેશિયા, ગ્રીસ, ફિલિપાઇન્સ, તાન્ઝાનિયા, નેપાળ, ઓમાન, બાલી, ફ્રાન્સ, જર્મની, ઝામ્બિયા, કંપાલા, કતાર, નૈરોબી જેવા દેશોમાં પણ રોજગારી મેળવે છે. જ્યારે અનેક યુવાનો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, કેનેડા, રશિયા જેવા દેશોમાં જાય છે.
કચ્છમાં વિદેશથી આવવા જવા વાળાની સંખ્યા વધુ હોવાથી રોગનો વ્યાપ વધવાની દહેશત
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા અનુસાર, 'જે દર્દી મહિલાને કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેની તબિયત સુધારા પર છે. હવે પછીના તેના બે રિપોર્ટ જો નેગેટિવ આવશે તો તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કચ્છમાં વિદેશમાંથી આવવા- જવાવાળા લોકોની સંખ્યા ઘણી વધુ છે. તેના કારણે કોરોનાનો વ્યાપ વધવાની દહેશત રહે છે. આથી જ અમે સતત બહારથી આવેલા લોકોના આરોગ્યની તપાસણી કરીએ છીએ. અત્યાર સુધી તો કોઈનામાં કોરોના વાઇરસનાં લક્ષણ દેખાયા નથી, પરંતુ અમે વિદેશોમાંથી આવેલી વ્યક્તિઓને હોમ અથવા ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન કરી છે. તેમના રહેવા- જમવાથી માંડીને આરોગ્યની પૂરતી કાળજી રાખવામાં આવે છે. જો કચ્છના લોકો જાગૃત રહેશે અને સામાજિક અંતર જાળવશે તો આ મહામારીનો વ્યાપ કચ્છમાં વધશે નહીં.'
મોટી સંખ્યામાં ક્વોરન્ટાઇન રૂમ્સ તૈયાર કરાયા છે
કચ્છમાં વધુ લોકોને ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઇન કરવા પડે તો તે માટે પણ તંત્રે તૈયારી કરી છે. જિલ્લામાં ૧૯૦૨ જેટલા રૂમ તૈયાર કરાયા છે. જિલ્લાના દસે દસ તાલુકામાં આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજમાં ૪૩૨, માંડવીમાં ૧૭૩, મુન્દ્રામાં ૧૬૫, લખપતમાં ૨૨૦, અબડાસામાં ૪૧, નખત્રાણામાં ૧૧૫, ગાંધીધામમાં ૩૭૮, અંજારમાં ૨૩૨, રાપરમાં ૫૫, ભચાઉમાં ૯૨ મળીને ૧૯૦૨ જેટલા રૂમો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, છાત્રાલયો, ખાદી ભંડાર, ધર્મશાળા, કૉમ્યુનિટી હૉલ, હોટેલ, ગેસ્ટ હાઉસ, આરોગ્ય કેન્દ્રોમાં આ સગવડ ઊભી કરાઈ છે. આ ઉપરાંત જિલ્લાની વિવિધ હૉસ્પિટલોમાં ૭૮ જેટલાં આઇસોલેશન વૉર્ડ પણ તૈયાર કરાયા છે. જો કચ્છમાં વસતા લોકો જાગૃત રહેશે, સાવચેત રહેશે તો આરોગ્ય તંત્રને આશા છે કે કોરોનાનો ફેલાવો આગળ વધશે નહીં.