કચ્છના બન્ની વિસ્તારમાં કોરોનાને નો એન્ટ્રી. 48 ગામનો વિસ્તાર ધરાવતા બન્નીમાં કોરોનાકાળના એક વર્ષમાં એકપણ કોવિડ કેસ નોંધાયો નથી.
બન્ની વિસ્તારમાં કોરોનાને નો એન્ટ્રી
એક વર્ષમાં એકપણ કોવિડ કેસ નહીં
48 ગામનો ધરાવે છે વિસ્તાર
ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ એશિયાના શ્રેષ્ઠ ઘાસીયા મેદાન તરીકે જાણીતો છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી રણોત્સવના કારણે પણ દુનિયામાં પ્રસિદ્ધ થયો છે. આ બન્ની વિસ્તારમાં મુખ્યત્વે માલધારીઓની વસ્તી છે. ત્યારે કોરોનાકાળના 1 વર્ષ બાદ પણ સદનસીબે અત્યાર સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
બન્ની વિસ્તારની રીતે ગાંધીનગર અને ડાંગ જિલ્લાથી વધુ ક્ષેત્રફળ ધરાવતો વિસ્તાર છે. ચોતરફ રણથી ઘેરાયેલો બન્ની પ્રદેશ પરાપૂર્વથી મહેમાન નવાઝી માટે જાણીતો છે. ધોરડોના રણોત્સવ પછી તો દેશ અને દુનિયાના લાખો પ્રવાસીઓને હસતા મોઢે આવકારે છે. ત્યારે આ વિસ્તારના ખડતલ અને સ્વસ્થ લોકોએ કોરોનાને નો એન્ટ્રી ફરમાવી દીધી છે.
48 ગામોનો સમૂહ એટલે બન્ની વિસ્તાર
કચ્છના ઊતરાદે આવેલો બન્ની પ્રદેશ 2489 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. ઉગમણી બન્નીના બેરડો ગામથી મુખ્ય બન્ની અને આથમણી બન્ની સરહદી હાજીપીર સુધી વિસ્તરેલો છે. ભુજ તાલુકાના 48 ગામોના સમૂહને બન્ની કહેવાય છે. અનેક વાંઢ આવેલી છે જેમાં વિચરતી વસ્તી રહે છે.
શા માટે બન્નીમાં કોરોના ઘૂસી નથી શક્યો ?
તમને એવો સવાલ થતો હશે કે બન્ની વિસ્તારમાં શા માટે કોરોના ન ઘુસી શક્યો? તેનું કારણ છે કે, વિશાળ વિસ્તાર અને વસ્તી પાંખી છે. માલધારીઓના પરિવારજનો શહેરથી અળગા જ રહે છે. મહિલાઓ મર્યાદાને કારણે બહાર નથી નીકળતી. માલધારી પ્રજા ખડતલ હોવાથી કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
શું કહે છે બન્ની વિસ્તારના લોકો ?
બન્ની વિસ્તારના લોકો જણાવે છે કે, અમારો આ પ્રદેશ દુર્ગમ પ્રદેશ છે માટે જ કોરોનાથી સુરક્ષિત રહ્યો છે. અંદાજે અહીં ચાલીસ હજારની વસ્તી છે, પરંતુ બધા જ લોકો પરિવાર સાથે પથરાયેલા છે. સરકારી ગાઈડ લાઈન મુજબ શહેરમાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું પડે છે પરંતુ અમારે તો વર્ષોથી આ સામાજિક માળખું છે.